તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના જન્મદિવસે ભાજપે લીધી મજા, ચાઈનીઝ ભાષામાં શુભેચ્છા આપી...
તમિલનાડુ સરકારના મંત્રીએ ISROના મિશનમાં ચાઈનીઝ ઝંડાનો ઉપયોગ કરતા ભાજપ ભડક્યું
PM મોદીએ પણ કહ્યું, ‘DMK દેશના વૈજ્ઞાનિકો, તમિલનાડુની પ્રજાનું અપમાન કરી રહ્યા છે’
Tamil Nadu DMK Controversy : ભાજપે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન (CM MK Stalin)ને તેમના જન્મ દિવસ પર ચાઈનીઝ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. ભાજપે શુભકામના પાઠવતી વખતે ચાઈનીઝ ભાષાનો ઉપયોગ કરી સ્ટાલિત પર આકરા પ્રહારો કર્યા છે. સ્ટાલિને તાજેતરમાં જ ઈસરોના એક મિશન પર અભિનંદન પાઠવતી વખતે ભારતના રૉકેટ પર ચીનના ઝંડા (Chinese Flag)નો ઉપયોગ કર્યો હતો. આ કરતુત બાદ દેશભરમાં ધમાસાણ પણ જોવા મળ્યું અને ડીએમકે પર ચાઈનીઝ પ્રેમ દેખાડવાનો પણ આરોપ લગાવાયો.
ભાજપે સ્ટાલિનને ચાઈનીઝ ભાષામાં અભિનંદન પાઠવ્યા
ભાજપે સ્ટાલિનના જન્મ દિવસ અંગે એક્સ પર લખ્યું કે, ‘તમિલનાડુ BJP તરફથી મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને તેમની પસંદગીની ભાષામાં જન્મ દિવસની હાર્દિક શુભકામના. તેઓ સ્વસ્થ રહે, લાંબુ જીવન જીવે.’ વાત એમ છે કે, તમિલનાડુમાં ઈસરોના મિશન પર છપાયેલા ચાઈનીઝ ઝંડાની ઘટના પછી વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓએ ડીએમકે પર નિશાન સાધ્યું છે.
શું છે ઈસરો મિશનમાં ચાઈનીઝ ઝંડાનો વિવાદ?
તમિલનાડુ સરકારના મંત્રી અનિતા રાધાકૃષ્ણન દ્વારા કુલાશેખરપટ્ટીનમમાં ઈસરોના નવા લોન્ચિંગ કોમ્પલેક્સ પ્રોજેક્ટ મુદ્દે સ્થઆનિક મીડિયામાં તાજેતરમાં એક જાહેરાત છપાઈ છપાઈ હતી. આ જાહેરાતમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરાયો, પરંતુ તેમાં એક ગંભીર અને મોટી ભુલ કરી રૉકેટ પર ચીનનો ઝંડો લગાવી દીધો હતો. તમામ લોકોના મનમાં સવાલ છે કે, આ મિશન ઈસરોનું છે, તો તેમાં ચાઈનીઝ ઝંડો કેવી રીતે આવી ગયો? આ મામલે વિવાદ સર્જાયા બાદ ડીએમકે કોઈ જવાબ આપે તે પહેલા જ મોટો ખેલ શરૂ થઈ ગયો અને ભાજપે આકરા પ્રહારો શરૂ કરવાનું શરૂ કરી દીધું.
PM મોદીએ પણ DMK પર સાંધ્યુ નિશાન
આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ ડીએમકે પર આકરા પ્રહારો કર્યા છે. તેમની તરફથી કહેવાયું કે, ‘ડીએમકે ભારતનો વિકાસ જોઈ શકતો નથી. ડીએમકેના લોકો ભારતના વિજ્ઞાનિકોનું અપમાન કરી રહ્યા છે. આ લોકો તમિલનાડુની પ્રજાનું અપમાન કરી રહ્યા છે. તેમના ટેક્સના નાણાંનું અપમાન કરી રહ્યા છે.’
ભાજપ આકરા પ્રહારમાં, DMK પોતાના બચાવમાં મેદાનમાં ઉતરી
એક તરફ ભાજપે ડીએમકેની કરતૂતને ભારતના અપમાન સાથો જોડ્યો, તો બીજી તરફ ડીએમકે પણ પોતાના બચાવમાં આવી ગઈ. ડીએમકેની મોટી નેતા કનિમોઝીએ કહ્યું કે, ‘હું જાણતી નથી કે, ઈસરોના રોકેટમાં આ તસવીર કેવી રીતે આવી ગઈ. પરંતુ હું એટલું જરૂર જાણું છું કે, ભારતે ચીનને દુશ્મન દેશ જાહેર કર્યો નથી. મેં જોયું કે, વડાપ્રધાન પોતે ચીનના વડાપ્રધાનને આમંત્રણ આપે છે અને ત્યારબાદ મહાબલિપુરમ જાય છે. વાત એવી છે કે, તેઓ માત્ર સત્ય સ્વીકારતા નથી, આવી રીતે ધ્યાન ભટકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.’
DMKના નેતાએ ઘટનાને ‘નાની’ ભૂલ ગણાવી
આ ઘટનાના એક દિવસ બાદ સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા અને મત્સ્યોદ્યોગ મંત્રી અનિતા આર રાધાકૃષ્ણને કહ્યું કે આ ડિઝાઇનરની ભૂલ હતી. પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે જાહેરાતમાં આ એક નાનકડી ભૂલ હતી. અમારો અન્ય કોઈ ઈરાદો નહોતો. અમારા દિલમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ છે. રાધાકૃષ્ણને કહ્યું કે તેમની પાર્ટીનું વલણ છે કે ભારત અખંડ રહે અને દેશમાં જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને સ્થાન ન મળે. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સૌથી પહેલા ડીએમકેના દિવંગત નેતા એમ.કરુણાનિધિએ તમિલનાડુમાં કુલશેખરાપટ્ટિનમ ખાતે નવા ISRO પ્રક્ષેપણ સંકુલની માંગણી કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને થુથુકુડીના લોકસભા સાંસદ કનિમોઝીએ કેન્દ્રને રાજ્યમાં પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના કરવા અપીલ કરી હતી.