CM નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક જેડીયુના કદાવર નેતાના 185 વફાદારોને વેતરી નાખ્યા

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Nitish Kumar


Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા છે. નીતિશે 185 નેતાઓને રવાના કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જેડીયુમાં પોતાની સાથે વફાદારી બતાવનારા નેતાઓને જ હોદ્દા મળશે. નીતિશે ગેંગસ્ટર કમ રાજકારણી પ્રભુનાથ સિંહના પુત્ર રણધીરસિંહને ઉપપ્રમુખ બનાવીને લલનસિંહને પણ વેતરી નાંખવાનો તખ્તો ઘડી નાંખ્યો હોવાનું મનાય છે. 

લલનસિંહ જેડીયુમાં બળવો કરાવે તેનો નીતિશને ડર

આ ઉપરાંત વકફ બિલમાં સુધારા માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)માં પણ મુસ્લિમો દ્વારા ઉઠાવાયેલા મુદ્દા ઉઠાવીને ભાજપને ભીંસમાં મૂકવાનો નિર્ણય નીતિશ કુમારે લીધો છે. લલનસિંહે લોકસભામાં વકફ બોર્ડ બિલ રજૂ કરાયું ત્યારે આ બિલની તરફેણમાં આક્રમકતાથી દલીલો કરી હતી. તેના કારણે નીતિશ કુમાર નારાજ છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, UPSCના ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, પૂજા ખેડકર કેસની ઇફેક્ટ!

નીતિશે ભાજપ સમર્થક લલનસિંહના વફાદાર 185 નેતાને વેતરી નાખ્યા

નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી લલનસિંહને ભાજપ તરફ સોફ્‌ટ કોર્નર હોવાથી લલનસિંહ જેડીયુના નેતા તરીકે વર્તવાના બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યા હોવાની નીતિશ કુમારને શંકા છે. નીતિશ માને છે કે, લલનસિંહ ભાજપ સાથે મળીને પોતાની સામે બળવો કરાવીને જેડીયુમાં સર્વેસર્વા બનાવવા માગે છે જેથી ભવિષ્યમાં બિહારમાં ભાજપના નેતાને મુખ્યમંત્રી બનાવી શકાય. નીતિશ કુમારે બનાવેલી નવી પ્રદેશ સમિતીમાં 10 ઉપપ્રમુખ, 49 મહામંત્રી, 46 મંત્રી, 9 પ્રવક્તા અને 1 ખજાનચી છે. નીતિશે લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને 15 મહિના પહેલાં 260 સભ્યોની પ્રદેશ સમિતી બનાવી હતી.

નીતિશે ત્રણ વર્ષની મુદતવાળી પ્રદેશ સમિતીને 15 મહિનામાં જ વિખેરી

હવે અચાનક નીતિશે જૂની પ્રદેશ સમિતીને વિખેરી નાંખીને 115 સભ્યોની નવી સમિતી બનાવી તેમાં જૂની સમિતીમાંથી 185 સભ્યોને રવાના કરીને 75 હોદ્દેદારોને જ રીપીટ કર્યા છે અને 40 નવા ચહેરાને તક આપી છે. સામાન્ય રીતે પ્રદેશ સમિતીની મુદત 3 વર્ષની હોય છે પણ નીતિશે સવા વર્ષ પછી જ પ્રદેશ સમિતીના વિખેરી નાખતાં નીતિશ નવાજૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ભારે વરસાદથી દેશની રાજધાની પણ થંભી, માર્ગો-અંડરપાસ જળમગ્ન, અનેક જગ્યાએ ચક્કાજામ

નીતિશે નવી સમિતીમાં ઉપપ્રમુખ બનાવેલા રણધીરસિંહ લોકસભા ચૂંટણીમાં આરજેડીમાંથી ટિકિટ ના મળતાં જેડીયુમાં જોડાઈ ગયા હતા. નીતિશે જૂની સમિતીના 20 ઉપપ્રમુખોને રવાના કરી દીધા છે. જૂની સમિતીમાં 105 મહામંત્રી હતા તેમાંથી મોટા ભાગનાને હટાવી દેવાયા છે.

CM નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક જેડીયુના કદાવર નેતાના 185 વફાદારોને વેતરી નાખ્યા 2 - image


Google NewsGoogle News