'અહીં બે પાર્ટીઓ છે, આ વખતે બંનેને ઉખાડીને ફેંકી દો', મધ્યપ્રદેશમાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન
અરવિંદ કેજરીવાલ ચૂંટણી બ્યૂગલ ફૂંકવા મધ્યપ્રદેશના રીવા પહોંચ્યા હતા
હવે ભાજપને અમારા ગઠબંધનથી પણ તકલીફ પડી છે : કેજરીવાલ
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં થોડો સમય બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રસારમાં લાગી ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી બ્યૂગલ ફૂંકવા મધ્યપ્રદેશના રીવા પહોંચ્યા છે. અહીં તેમણે જનતાને અપીલ કરી છે કે, મધ્યપ્રદેશમાં બે પાર્ટીઓ છે- ભાજપ અને કોંગ્રેસ, બંનેને ઉખાડી ફેંકી દો. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીને માત્ર સત્તાથી મતલબ છે અને તેને સત્તા માટે દેશને વેચવો પડે તો પણ વેચી દેશે.
ઈન્ડિયા ગઠબંધનની વાત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે ભાજપને અમારા ગઠબંધનથી પણ તકલીફ પડી છે. આ લોકો ઈન્ડિયાના નામથી ડરી રહ્યા છે. અમારા ગઠબંધનનું નામ ભારત હોત તો શું તેમને તેનાથી પણ તકલીફ હોત?
ત્યારે, અરવિંદ કેજરીવાલે મધ્યપ્રદેશની જનતાને કહ્યું, પહલે ઈસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે. જો તમને લાગે કે દિલ્હી અને પંજાબમાં કામ કર્યું છે, તો અમને મત આપો. મધ્યપ્રદેશમાં ચૂંટણી ગેરેન્ટી આપતા કેજરીવાલે કહ્યું કે, અહીં બે પાર્ટીઓ છે. એકવાર આનું રાજ, એકવાર તેનું રાજ, આ વખતે આ બંને પાર્ટીઓને ઉખાડીને ફેંકી દો.
એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં ફોન કરીને પૂછી લો કે કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા અને આવી વાત કરી રહ્યા હતા, શું દિલ્હી અને પંજાબમાં તેમણે કામ કર્યું? તેઓ જો હા કહે તો મત આપજો, નહીતર ન આપતા. એક મોકો આપને આપો, હું ચેલેન્જ આપું છું કે બંને પાર્ટીઓને ભૂલી જશો. આજે હું તમને દસ ગેરેન્ટી આપીને જઈ રહ્યો છું.