EDના સમન્સ પર કેજરીવાલ હાજર ન થયા તો કોર્ટ પહોંચી એજન્સી, વધુ એક ફરિયાદ નોંધાઈ
CM Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ દારૂ કૌભાંડ મામલે ઈડી દિલ્હી કોર્ટ પહોંચી ગઈ છે. માહિતી અનુસાર, કેજરીવાલ વિરૂદ્ધ જે સમન્સ જાહેર કરાયું હતું, તેનું પાલન ન કરવા પર દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે. આ કેસમાં સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. ઈડીએ કહ્યું કે, ઈડી દ્વારા પીએમએલએની કલમ 50 હેઠળ જાહેર સમન્સનું પાલન નથી કરાયું.
જણાવી દઈએ કે, લોકસેવકના આદેશનું પાલન ન કરવા પર IPCની કલમ 174 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. ઈડી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કલમ 50 હેઠળ પૂછપરછ માટે ઈડી સમક્ષ એક વ્યક્તિની હાજરી જરૂરી છે.
જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ઈડી એક બાદ એક 5 સમન્સ જાહેર કરી ચૂક્યું છે. પરંતુ કેજરીવાલ ઈડીની સામે રજૂ નથી થઈ રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રી હજુ તમામ સમન્સને ગેરકાયદે બતાવતા ઈડીની સામે રજૂ થવાનો ઈનકાર કરી રહ્યા છે.
ત્યારે આમ આદમી પાર્ટીએ ઈડીના સમન્સને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે, મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને એવું કરીને દિલ્હીમાં તેઓ સરકાર તોડી પાડવા માંગે છે. અમે એવું ક્યારેય નહીં થવા દઈએ.