આસામ-મેઘાલય આંતરરાજ્ય સરહદ પર અથડામણ, ગોફણ અને તીર વડે એકબીજા પર કર્યા હુમલા
Image Source: Twitter
- બંને રાજ્યોની પોલીસને આ ઘટનાની સૂચના મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
શિલોંગ, તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર
આસામ-મેઘાલય આંતરરાજ્ય સરહદને અડીને આવેલા એક ગામમાં અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. આ હુમલો કરવા માટે તેમણે ગોફણ અને તીરનો ઉપયોગ કર્યો હતો.
મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લો અને આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાને અડીને આવેલા લાપંગાપ ગામમાં આ અથડામણ થઈ હતી. જોકે, કોઈના ઘાયલ થવાની કોઈ જાણકારી સામે નથી આવી.
બંને રાજ્યોની પોલીસને આ ઘટનાની સૂચના મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થાનિક લોકોને શાંત કરાવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બની હતી. હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે પરંતુ આજે સવારે તણાવપૂર્ણ માહોલ રહ્યો હતો. કારણ કે, પોલીસે લોકોને અથડામણ વાળા સ્થળ પર જવા માટે રોક્યા હતા.
પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાના અધિકારી સાથે વાત કરી રહ્યા છે.