પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ
Pahalgam Terrorist Attack: જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવીને ઝડપી પગલાં લઈ રહી છે. જેના કારણે હવે પાકિસ્તાન ગભરાયું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીન તરફથી સમર્થન મળ્યું છે.
આ પણ વાંચો: 3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા
ચીન અને પાકિસ્તાન વચ્ચે વાતચીત
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન ચીને કહ્યું કે, તે હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે.
આ વાતચીત દરમિયાન ઈશાક ડારે કહ્યું કે, તેઓ આતંકવાદ વિરુદ્ધ કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન દ્વારા તણાવ વધારતા કોઈપણ પગલાનો વિરોધ કરે છે. પાકિસ્તાન આ મુદ્દે ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્કમાં રહેશે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, 'તેઓ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ વિરુદ્ધ લડાઈ એ બધા દેશોની સહિયારી જવાબદારી છે.
'એક આંતરરાષ્ટ્રીય ટીમ તપાસ કરે કે,ભારતના વડાપ્રધાન...'
પાકિસ્તાને માંગ કરી હતી કે, પહલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવામાં આવે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'એક આંતરરાષ્ટ્રીય ટીમ તપાસ કરે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.'
પહલગામ કેસમાં અપડેટ
- ગૃહ મંત્રાલયના આદેશ પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પહલગામ હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
- ભારતીય નૌકાદળે એન્ટી-શિપ મિસાઇલો ચલાવીને લાંબા અંતર સુધી હુમલો કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું.
- જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના ઘરો ન તોડવા જોઈએ.
- અત્યાર સુધીમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ગયા છે અને બાકીના લોકોને પણ રવિવાર સુધીમાં ભારત છોડી દેવા કહેવામાં આવ્યું છે.