છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ
Chhattisgarh IED Blast : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મોટી ઘટના બની છે. અહીં સશસ્ત્ર દળોના એક જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા ભયાનક વિસ્ફોટ થયો છે, જેમાં તેઓ શહીદ થયા છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, જિલ્લાના તોયનારથી ફરસેગઢ વચ્ચે આવેલા મોરમેડ ગામના જંગલમાં આઈઈડીની ઝપેટમાં આવતા સીએએફ 19વી બટાલિયનના 26 વર્ષિક જવાન મનોજ પુજારી શહીદ થયા છે.
જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ
તેમણે કહ્યું કે, તોયમારથી ફરસેગઢ વચ્ચે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તેની સુરક્ષા કરવા માટે સીએએફની ટીમ પેટ્રોલિંગ પર ગઈ હતી. ટીમ જ્યારે તોયનારથી ફરસેગઢ તરફ ચાર કિલોમીટર દુર મોરમેડ ગામના જંગલોમાં હતી. આ દરમિયાન જવાન મનોજ પુજારીનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ થયો હતો, જેમાં તેઓ શહીદ થયા છે.
નક્સલીઓનું કાયરતાપૂર્વકનું કૃત્ય
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘ગ્રામજનોને યોગ્ય સુવિધા અને સુરક્ષા મળે તે માટે રસ્તાના નિર્માણ કાર્યમાં તહેનાત કરેલા જવાનોને નક્સલીઓએ નિશાન બનાવ્યા છે, જે કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અમે નક્સલીઓ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રાખીશું. માઓવાદીઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં તહેનાત સુરક્ષા જવાનોને નિશાન બનાવવા માટે જંગલો અને રસ્તાઓ પર પ્રેશર બોંબ લગાવી દે છે. આવી ઘટનાઓમાં અનેક જવાનો શહીદ અને અનેક ઘાયલ થયા છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી
અગાઉ પર IEDની ઝપેટમાં સ્કોર્પિયો આવતા 8 જવાનો શહીદ થયા હતા
આ પહેલા જાન્યુઆરીમાં નક્સલીઓએ આવો જ હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર સહિત ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાનો શહીદ થયા હતા. નક્સલીઓએ બીજાપુર જિલ્લામાં રોડ પર આઇઇડી છુપાવીને આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જવાનોનું વાહન આ આઇઇડી પરથી પસાર થતા જ મોટો વિસ્ફોટ થયો હતો. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના આઠ જવાનો અને ડ્રાઇવર નક્સલવાદ વિરોધી ઓપરેશન પાર પાડીને સ્કોર્પિયો એસયુવીમાં પરત ફરી રહ્યા હતા, એવામાં બિજાપુરના આમ્બેલી ગામમાં નક્સલીઓએ આઇઇડીથી વિસ્ફોટ કર્યો હતો, જેની અડફેટે સ્કોર્પિયો કાર આવી ગઇ હતી. કારમાં બેઠેલા તમામ જવાનો અને ડ્રાઇવરના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો : કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો