ફ્લેટ જેટલા તો બાથરૂમ! ચંદ્રબાબુએ જનતા માટે ખોલી દીધા પૂર્વ CM રેડ્ડીએ રૂ.400 કરોડમાં બનાવેલ 'પેલેસ'
Image Source: Twitter
Rushikonda Palace: આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના વિશાખાપટ્ટનમમાં સ્થિત આલીશાન પેલેસ (રુશિકોંડા હિલ પેલેસ)ના દરવાજા રવિવારે જનતા માટે ખોલી દેવામાં આવ્યા છે. જગન મોહન રેડ્ડીના શાસન દરમિયાન કુલ 452 કરોડ રૂપિયામાં 7 લક્ઝરી રેસિડેન્શિયલ અને ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચંદ્રાબાબુ નાયડુ સરકારનો આરોપ છે કે રુશિકોંડા હિલ્સ પર બનેલ આલીશાન પેલેસનું નિર્માણ તમામ પર્યાવરણીય ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. કારણ કે, જગન સરકાર પાસે અમરાવતીથી રાજધાની શિફ્ટ કરવાની પરવાનગી નહોતી. તેથી તેમણે પર્યટન વિભાગના નામ પર આ આલીશાન બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું હતું.
TDP ધારાસભ્ય ગંતા શ્રીનિવાસ રાવે રવિવારે રુશિકોંડા હિલ્સ પર બનેલા આલીશાન પેલેસની પ્રથમ મુલાકાત પર આવેલા NDA ડેલીગેશન અને મીડિયાનું નેતૃત્વ કર્યું. અંદરની સુંદરતા અને લક્ઝરી વસ્તુ જોઈને લોકો દંગ રહી ગયા હતા.
9.88 એકરમાં ફેલાયેલો છે રુશિકોંડા પેલેસ
રુશિકોંડા પેલેસ સમુદ્ર સામે 9.88 એકરમાં ફેલાયેલો છે. જગન મોહનના કાર્યકાળમાં બનેલી 7 લક્ઝરી બિલ્ડિંગમાંથી 3 વિશેષ રૂપે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. તેમાં 12 બેડરૂમ છે. દરેક બેડરૂમમાં અટેચ લક્ઝરી વોશરૂમ છે. તેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ, હાઈ ક્વોલિટી ફર્નિશિંગ, રાચરચીલું, ચમકતા ઝુમ્મર, બાથટબ અને ફ્લોર વર્ક પર જનતાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
430 સ્ક્વેર ફૂટમાં બનેલું એક બાથરૂમ
એક બાથરૂમ મહત્તમ 430 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યુ છે. સૌથી મોટો ખર્ચ બાથટબ પાછળ કરવામાં આવ્યો હતો. બિલ્ડિંગના ઈન્ટિરિયર ડેકોરેશન માટે સામાન અને ફર્નિચર પાછળ લગભગ 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રસ્તાઓ, નહેરો અને પાર્કના વિકાસ પર 50 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બિલ્ડિંગની બહાર પણ શાનદાર લેન્ડસ્કેપિંગ કરવામાં આવી છે. પાર્કમાં 2 થી 3 પ્રકારના વોક-વે બનાવવામાં આવ્યા હતા.
મે 2021માં CRZ તરીકે મંજૂરી લેવામાં આવી હતી
અહેવાલ પ્રમાણે આંધ્ર પ્રદેશ પર્યટન વિકાસ નિગમ દ્વારા રુશિકોંડા હિલ્સ પર વિકસાવવામાં આવનાર પર્યટન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા મે 2021માં CRZ એટલે કે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરી આપવામાં આવી હતી. TDPના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશનું કહેવું છે કે, જગન મોહન રેડ્ડીએ ખાસ કરીને તેનો ઉપયોગ તેમના કેમ્પ ઓફિસ તરીકે કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે દાવો કર્યો કે બિલ્ડિંગના નિર્માણ માટે રાજ્યની તિજોરીના 500 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા રેડ્ડીએ કર્યું હતું ઉદ્ધાટન
જગન મોહન રેડ્ડીએ વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલા કોઈ પણ પરવાનગી લીધા વિના આ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે ચૂંટણી બાદ ભવનમાં એન્ટ્રીની યોજના બનાવી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ આંધ્ર પ્રદેશની રાજકીય તસનીર જ બદલાઈ ગઈ.
TDPના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે જગન મોહન રેડ્ડીના આલીશાન પેલેસની તુલના ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન અને જનાર્દન રેડ્ડીએ બનાવેલા મહેલો સાથે કરી છે. તેમણે તર્ક આપ્યો કે, પેલેસમાં રિવ્યૂ મીટિંગ માટે ખાસ ડિઝાઈન કરાયેલ એક કોન્ફરન્સ રૂમ પણ છે, જે વાસ્તવમાં પ્રવાસી સંપત્તિ માટે જરૂરી માનવામાં નથી આવતો.
નિર્માણમાં ઘણી ગોપનીયતા જાળવવામાં આવી
TDP નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે પેલેસના નિર્માણમાં ઘણી ગોપનીયતા જાળવવામાં આવી હતી. જગન મોહન રેડ્ડી પોતાની પાર્ટી YSRCPના સમર્થકોને જ
કોન્ટ્રાક્ટ આપ્યો. નારા લોકેશે કહ્યું કે, પેલેસ બનાવવા માટે રુશિકોંડા હિલ્સમાં પર્યટન માટે ગ્રીન રિસોર્ટને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા હતા. આ રિસોર્ટ્સથી 8 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક થતી હતી. TDP નેતાએ રેડ્ડી સરકાર પર અદાલતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
જમીનને સમતલ કરવા માટે રૂ. 95 કરોડનો કર્યો ખર્ચ
નારા લોકેશે આરોપ લગાવ્યો કે, રેડ્ડી સરકારે તેને એક સ્ટાર હોટલ, પછી સીએમ કેમ્પ ઓફિસ અને બાદમાં પર્યટન પ્રોજેક્ટ બતાવ્યો. આ પ્રોજેક્ટને 15 મહિનાની ડેડલાઈન સાથે 91 કરોડ રૂપિયાના બજેટ સાથે એક સ્ટાર હોટલના રૂપમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ 95 કરોડ રૂપિયા માત્ર જમીનને સમતલ કરવા માટે અને 21 કરોડ રૂપિયા આસપાસના વિસ્તારને સુંદર બનાવવામાં ખર્ચ કરી નાખ્યા. એટલું જ નહીં સિક્રેટ કંન્સ્ટ્રક્શન દૂરથી ન દેખાઈ તેના માટે ચારેય બાજુ 20 ફૂટ ઊંચી બેરિકેડિંગ કરવામાં આવી હતી.