આંધ્રના કૌશલ વિકાસ કૌભાંડમાં ચંદ્રાબાબુ મુખ્ય કાવતરાખોર : સીઆઇડી
- મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં નાયડુએ કૌભાંડની યોજના ઘડી
- કૌશલ વિકાસ નિગમના ફંડના દુરુપયોગ બદલ નાયડુ હાલ ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં ઃ કેસની વધુ સુનાવણી ૧૯ સપ્ટેમ્બરે
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના પ્રમુખ એન સંજયે કૌશલ વિકાસ કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે નાયડુએ મુખ્યપ્રધાન તરીકે પોતાના કાર્યકાળમાં આ ભ્રષ્ટાચારની સમગ્ર યોજના ઘડી હતી.
આંધ્ર પ્રદેશ સરકારની તરફથી ૩૭૧ કરોડ રૂપિયા સીમેન્સ નામની કંપનીને નોમિનેશન સ્વરૂપમાં આપવામાં આવ્યાનો આરોપ
દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા સંજયે જણાવ્યું હતું કે આ ૩૭૧ કરોડ રૂપિયાની સરકારી રકમનું કૌભાંડ છે. આ નાણા આંધ્ર પ્રદેશ સરકારની તરફથી સીમેન્સ નામની કંપનીને નોમિનેશન સ્વરૂપમાં આપવામાં આવ્યા હતાં. આ રીતે ફક્ત નોમિનેશનના આધારે નાણા સરકારના હાથમાંથી બહાર જતા રહ્યાં હતાં.૩૭૧ કરોડ રૂપિયામાંથી ૨૪૧ કરોડ રૂપિયા અન્ય પ્રાઇવેટ કંપનીઓને જઇ રહ્યાં હતાં. ઇડીની તપાસમાં આ વાત પણ સામે આવી છે.
એન સંજયે આંધ્ર પ્રદેશ કૌશલ વિકાસ કૌભાંડ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડ ૯૦ થ ૧૦ ફોર્મ્યુલાના પ્રોેજેક્શનના કારણે થયું હતું. સીમેન્સે દાવો કર્યો છે કે તેનો આ બધાથી કોઇ લેવાદેવા નથી કારણકે કંપનીનું મુખ્યમથક જર્મનીમાં છે. વાસ્તવમાં અનેક લોકોને રકમ આપવામાં આવી હતી જે લોકો ટ્રેનિંગથી જોડાયેલા કામોમાં સામેલ હતાં.
વિજયવાડાની સ્થાનિક કોર્ટે નાયડુની બે જામીન અરજીઓ પર સુનાવણી ૧૯ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. નાયડુએ જામીન માટે વચગાળાના જામીનની સાથે નિયમિત જામીનની અરજી પણ કરી છે.
નાયડુને કૌશલ વિકાસ નિગમના ફંડના દુરુપયોગ માટે ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સીઆઇડીનું પ્રતિનિધિત્ત્વ કરનાર સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર વાય એન વિવેકાનંદે જણાવ્યું હતું કે કોર્ટે કેસની વિસ્તારપૂર્વક સુનાવણી કરી હતી આ કેસની વધુ સુનાવણી ૧૯ સપ્ટેમ્બરે થશે. તે દિવસે જવાબી સોગંદનામું દાખલ કરવામાં આવશે. આ કૌભાંડથી આંધ્ર પ્રદેશ સરકારને ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.