બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણની જવાબદારી કેન્દ્ર સરકારની : ઉદ્ધવ
- કાશ્મીરી પંડિતોના અત્યાચારોનો મુદ્દો શિવસેનાએ ઉઠાવ્યો હતો
- નરેન્દ્ર મોદી મણિપુર તો જઈ શક્યા નથી, પરંતુ બાંગ્લાદેશમાં જઈને હિન્દુઓની સ્થિતિ જુએ : ઉદ્ધવનો ટોણો
નવી દિલ્હી : શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને મળી રહ્યા છે. સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે કેજરીવાલના પરિવારને મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર દિલ્હીમાં મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવી રહ્યા છે. એ દરમિયાન તેમણે બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે પણ નિવેદન આપ્યું હતું.
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ૧૯૭૧માં બાંગ્લાદેશમાં અત્યાચારો થતા હતા ત્યારે બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે ઈન્દિરાજીએ જે કામ કર્યું હતું એવું કામ પીએમ મોદીએ કરવંર જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે તેમના રક્ષણની જવાબદારી ભારત સરકારની છે. મોદીની છે. જે ભારત સરકારે બાંગ્લાદેશને અત્યાચારોથી મુક્ત કરાવ્યું હતું એ જ ભારત સરકારે અત્યારે પગલાં ભરવા જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ મોદી અને અમિત શાહ પર ટોણો મારતા કહ્યું હતું કે મોદી અને અમિત શાહ મણિપુર તો જઈ શક્યા નથી, પરંતુ પીએમ અને ગૃહમંત્રીએ જઈ શકાય તો બાંગ્લાદેશમાં જવું જોઈએ. ત્યાં જઈને હિન્દુઓની સ્થિતિ જોવી જોઈએ. તેમના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ એક રીતે મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. હિન્દુત્ત્વનું રાજકારણ કરતાં ભાજપ સામે શિવસેનાએ જે પડકાર ફેંક્યો છે તેની દિલ્હીમાં ચર્ચા છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થયા તેના મુદ્દો ઉઠાવશે. એ યાદ રાખવું જોઈએ કે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યારોનો સૌપ્રથમ મુદ્દો ૧૯૮૮-૮૯માં શિવસેનાએ ઉઠાવ્યો હતો.