પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્રીય કચેરીઓમાં અઢી વાગ્યા સુધી રજા, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
પ્રાણ પ્રતિષ્ઠા માટે પાંચ રાજ્યમાં આખા દિવસની જાહેર થઈ ચૂકી છે
Ram Mandir Inauguration : અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે. જેમાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સના દિવસે કેન્દ્રિય સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ પાંચ રાજ્યમાં આખા દિવસની રજા જાહેર
કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે "અયોધ્યામાં 22 જન્યુઆરીએ યોજાનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે" કર્મચારીઓ આ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણા અને છત્તીસગઢમાં આખા દિવસની રજા જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત સરકારના નિર્ણય તરફ મીટ મંડાઈ છે.
વડાપ્રધાને રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરીલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે. 48 પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20થી વધુ દેશો દ્વારા જાહેર કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.