કેન્દ્ર, આઇઆઇટી ફેકલ્ટીની ભરતીમાં અનામતનો અમલ કરે : સુપ્રીમ

Updated: Dec 19th, 2022

Google NewsGoogle News
કેન્દ્ર, આઇઆઇટી ફેકલ્ટીની ભરતીમાં અનામતનો અમલ કરે : સુપ્રીમ 1 - image


- આઇઆઇટીમાં અનામતનો અમલ  થતો નથી : અરજકર્તા

- આઇઆઇટીમાં સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન્સ (રિઝર્વેશન ઇન ટીચર્સ કેડર) એક્ટ-2019 હેઠળ અનામતની માગ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન્સ (રિઝર્વેશન ઇન ટીચર્સ કેડર) એક્ટ, ૨૦૧૯ હેઠળ આઇઆઇટીમાં રિસર્ચ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન અને ફેકલ્ટી મેમ્બરની ભરતીમાં અનામત નીતિનો અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સુપ્રીમ કોર્ટે એસ એન પાંડે નામની એક વ્યકિત દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યા હતાં. અરજીમાં કેન્દ્ર સરકાર અને આઇઆઇટીના રિસર્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને ફેકલ્ટી મેમ્બરની ભરતની સંબધમાં અનામત નીતિનું પાલન કરવાના નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આઇઆઇટી જેવા કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દિશા-નિર્દેશોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સંબધિત પક્ષકારોને અનામતનું પાલન કરવા અને સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન્સ (રિઝર્વેશન ઇન ટીચર્સ કેડર) એક્ટ, ૨૦૧૯ હેઠળ આપવામાં આવેલા અનામત અનુસાર કાર્ય કરવાના નિર્દેશ આપવામાં આવે છે.

આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ સી ટી રવિકુમારની બનેલી ખંડપીઠે કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આઇઆઇટીમાં અનામતનો અમલ કરવામાં આવી રહ્યો નથી. નિયમ આઇઆઇટીમાં અનુસુચિત જાતિ માટે ૧૫ ટકા, અનુસુચિત જન જાતિ માટે ૧૭ ટકા અને ઓબીસીને ૨૭ ટકા અનામત આપવાની જોગવાઇ છે. 

Google NewsGoogle News
Gujarat