૨૦૨૫-૨૬થી બોર્ડની પરીક્ષા બે વખત લેવા કેન્દ્રનો સીબીએસઇને નિર્દેશ
૨૦૨૫-૨૬થી બોર્ડની પરીક્ષા બે વખત લેવા કેન્દ્રનો સીબીએસઇને નિર્દેશ
આગામી મહિને શિક્ષણ મંત્રાલય અને સીબીએસઇ શાળાના આચાર્યો સાથે ચર્ચા કરશે
Updated: Apr 26th, 2024
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬
શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી વર્ષમાં બે વખત
બોર્ડની પરીક્ષા લેવા માટે તૈયારીઓ શરૃ કરવાના નિર્દેશ આપ્યા છે તેમ સૂત્રોએ
જણાવ્યું છે. જો કે સૂત્રોએ સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની યોજનાને રદિયો આપ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલય અને સેન્ટ્રલ
બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) વર્ષમાં બે વખત પરીક્ષા લેવા અંગે શાળાના આચાર્યો
સાથે આગામી મહિને ચર્ચા કરશે.
હાલમાં સીબીએસઇ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાથી શૈક્ષણિક
કેલેન્ડરમાં ક્યા ક્યાં ફેરફાર કરવા પડશે તે અંગેની વિચારણા કરી રહ્યું છે. શિક્ષણ
મંત્રાલયની ઇચ્છા હતી કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી જ બે વખત પરીક્ષા લેવાનું શરૃ
કરવામાં આવે પણ તે શક્ય ન બનતા હવે ૨૦૨૫-૨૬થી બે વખત પરીક્ષા લેવાનું નક્કી
કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર
પ્રધાને ગયા ઓક્ટોબરમાં પત્રકારો સાથેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે
વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા બે વખત આપવી ફરજિયાત નહીં હોય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગની પ્રવેશ
પરીક્ષા જેઇઇની જેમ વિદ્યાર્થીઓ બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. આ બંને
પરીક્ષાઓમાંથી જે પરીક્ષામાં વધારે ગુણ હશે તે ધ્યાનમાં લેવાશે.જો કે બે વખત
પરીક્ષા આપવી સંપૂર્ણપણે મરજિયાત છે.