ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર
Agricultural Fertilizer Subsidy : આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકાર ખરીફ પાક 2025 (1 એપ્રિલ-2025થી 30 સપ્ટેમ્બર-2025) દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે 37,216.15 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે. આ રકમ રવી 2024-25 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધુ છે.
સરકાર આ ખાતરો પર આપે છે સબસિડી
કેન્દ્ર સરકાર પોષક તત્ત્વ આધારિત સબસિડી યોજના હેઠળ 28 ગ્રેડના ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર જેવા કે ડાઇ-અમોનિયમ ફૉસ્ફેટ (DAP), મ્યૂરિએટ ઑફ પોટાશ (MOP) અને નાઇટ્રોજન-ફોસ્ફોરસ-પોટાશ-સલ્ફર વગેરે પર સબસિડી આપે છે. ખેડૂતોને યોગ્ય અને સસ્તા દરે ખાતર મળે અને ખેતીમાં ઓછો ખર્ચ થાય તેમજ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે, તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
સિંગલ સુપર ફૉસ્ફેટની સબસિડીનો ગાળો વધારવા પર પણ મંજૂરી
કેબિનેટે સિંગલ સુપર ફૉસ્ફેટ (SSP) પર સપાટી દરે સબસિડીનો સમયગાળો લંબાવી 2025 કર્યો છે. આ નિર્ણયથી SSPના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે આ ઉપરાંત ખેડૂતોને સસ્તા દરે SSP મળી રહેશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સબસિડીવાળા દરે ખાતર મળશે. આ ઉપરાંત ખેતીનો ખર્ચ ઘટવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ-2010ના રોજ NBS યોજના શરુ કરી હતી, ત્યારથી અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોને લાભ અપાઈ રહ્યો છે. ખેડૂતોને રાહત ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર આ યોજના હેઠળ ખાતર કંપનીઓને સબસિડી આપે છે.
આ પણ વાંચો : દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત