પીએમએવાય હેઠળ 3 કરોડ મકાનો માટે કેબિનેટની મંજૂરી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
પીએમએવાય હેઠળ 3 કરોડ મકાનો માટે કેબિનેટની મંજૂરી 1 - image


- મોદી કેબિનેટની પહેલી બેઠકમાં નિર્ણય

- પીએમઓને સત્તાનું કેન્દ્ર નહિ, પણ સેવાનું કેન્દ્ર બનાવવા, રાષ્ટ્રને પ્રથમ રાખવા મોદીની ટીમને સલાહ

- વડાપ્રધાન મોદીએ કાર્યભાર સંભાળતા સૌથી પહેલાં ખેડૂતો માટે ભંડોળ રીલીઝ કર્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી પ્રથમ મીટિંગમાં કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આપી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક રીતે સળંગ ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી તેમની કેબિનેટની આ પ્રથમ બેઠક હતી. એનડીએના બધા પ્રધાનો આ બેઠકમાં હાજર હતા. કેબિનેટ મીટિંગમાં ગ્રામીણ અને શહેરી એમ કુલ ત્રણ કરોડ મકાનો બનાવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારના મકાનો માટેના કુટુંબોની સંખ્યામાં વધારો થવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

ભારત સરકાર ૨૦૧૫-૧૬થી પીએમએવાય યોજનાનો અમલ કરે છે. આ યોજનાોમાં શહેરી અને ગ્રામીણ ગરીબોને મૂળભૂત સગવડો ધરાવતા પાકા મકાનો પૂરાં પાડવામાં આવે છે. પીએમએવાય યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં કુલ ૪.૨૧ કરોડ મકાનો બાંધવામાં આવી ચૂક્યા છે.

 આ યોજનાનો લાભ લેનારા બધા કુટુંબોને ઘરદીઠ શૌચાલય, એલપીજી જોડાણ, વીજ જોડાણ અને પીવાના પાણીનું જોડાણ પૂરુ પાડવામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને એકીકૃત કરીને આ સગવડો પૂરી પાડવામાં આવે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પદ ગ્રહણ કર્યા પછી  પીએમઓ અધિકારીઓને તેમના પ્રથમ સંબોધનમાં જણાવ્યું કે તેમની ઓફિસ મોદીની પીએમઓના સ્થાને લોકોની પીએમઓ બનવી જોઈએ અને તેણે સમગ્ર સીસ્ટમને દોરવણી આપતા અને નવી ઊર્જા ઉત્પન્ન કરતા પ્રેરક તત્વ તરીકે કામ કરવું જોઈએ. રાષ્ટ્રએ આપણા પર વિશ્વાસ મુક્યો છે. આપણે સમયની પરવા કર્યા વિના કામ કરવાનું છે.

વડા પ્રધાને નોંધ કરી કે દસ વર્ષ અગાઉ પીએમઓને મહત્વના સત્તાના કેન્દ્ર તરીકે જોવામાં આવતું હતું. હું સત્તા માટે જન્મ્યો નહોતો અને મને તેની ખેવના પણ નથી. ૨૦૧૪થી અમારા પ્રયાસોનો હેતુ પીએમઓને સેવા કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવાનો રહ્યો છે.

ભારતના ૧૪૦ કરોડ નાગરિકો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરતા વડા પ્રધાને જણાવ્યું કે આ નાગરિકો માત્ર મનુષ્યો નથી પણ ઈશ્વરનું સ્વરૂપ છે. હું જ્યારે સરકારમાં કોઈ નિર્ણય લઉં છું ત્યારે માનું છું કે મેં આ ૧૪૦ કરોડ દેશવાસીઓની પૂજા કરી છે. વડા પ્રધાને નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવા મક્કમતા અને સખત પરિશ્રમના મહત્વ પર ભાર મુક્યો હતો.

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જ એક સામૂહિક લક્ષ્યાંક હોવું જોઈએ. આપણી પાસે એક જ લક્ષ્ય છે - રાષ્ટ્ર પ્રથમ. એક જ ઈરાદો છે - ૨૦૪૭ વિકસિત ભારત. મેં આ વાત જાહેરમાં પણ કહી છે, મારી પળ પળ દેશના નામે છે. મેં દેશવાસીઓને ૨૦૪૭ના લક્ષ્યાંક માટે દરરોજ ૨૪ કલાક કામ કરવાનું વચન આપ્યું છે. મને મારી ટીમ પાસેથી પણ આવી જ અપેક્ષા છે. સમયસર કામ પૂર્ણ કરવું સારી બાબત છે પણ સંપૂર્ણ નથી. હું માનું છું કે નક્કી કરેલા કાર્યમાં સુધારા થતા રહેવા જોઈએ. આપણે આવા ઈરાદા સાથે કામ કરીશું તો મને પૂર્ણ ખાતરી છે કે આપણે આપણા સ્વપ્નો અને આકાંક્ષાઓ સાકાર કરી શકશું.

વડા પ્રધાને ઉમેર્યું કે આપણે એવા લોકો નથી જેના માટે ઓફિસ કોઈ ચોક્કસ સમયે શરૂ થાય અને ચોક્કસ સમયે બંધ થાય. આપણે સમય સાથે બંધાયેલા નથી.

ઉલ્લેખનીય છે કે રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ સમારંભમાં પડોશી દેશોના વડાઓએ હાજરી આપી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડા પ્રધાન અને તેમના પ્રધાનોની ટીમને શપથ લેવડાવ્યા હતા.


Google NewsGoogle News