ઉજ્જૈન રેપ કાંડના આરોપી ભરત સોનીના ગેરકાયદેસર બનાવેલા ઘર ઉપર ચલાવાયુ 'મામા'નું બુલડોઝર
Image Source: Twitter
- 20 વર્ષથી અહીં તેમણે ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો
ઉજ્જૈન, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીનીના ગેરકાયદેસર બનાવેલા ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અહીં બુલડોઝર લઈને પહોંચી અને આરોપીના ગેરકાયદેસર બનાવેલા ઘરને જોત જોતામાં ધ્વસ્ત કરી દીધુ છે. સતના જિલ્લાની 12 વર્ષની એક કિશોરી જે હાલમાં જ ઉજ્જૈન આવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લોહીથી લથપથ અને દુષ્કર્મનો ભોગ બનેલી આ કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી રહી હતી. પોલીસે આ મામલે 72 કલાકની સગન તપાસ બાદ આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીનું નામ ભરત સોની છે અને તે ઓટો રિક્ષા ચલાવે છે.
આરોપીના પરિવારનો 20 વર્ષથી કબજો હતો
ઉજ્જૈનમાં સતના જિલ્લાની સગીર બાળકી સાથે થયેલી હેવાનિયત મામલે બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પોલીસ વહીવટી તંત્ર સાથે આરોપી ભરત સોનીના ગેરકાયદેસર કબજા પર પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ, મહેસૂલ વિભાગની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. જોકે, આરોપીના પરિવારજનોએ પહેલાથી જ તેમનો સામાન બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. આ જગ્યા પર આરોપીના પરિવારનો 20 વર્ષથી કબજો હતો અને આરોપીનો એક ભાઈ ભૂતકાળમાં હિસ્ટ્રીશીટર હતો જેનું મોત થઈ ચૂક્યું છે.
ઉજ્જૈનના નાનાખેડા વિસ્તારમાં રેપ કાંડના આરોપી ભારત સોનીનું ઘર છે. 20 વર્ષથી અહીં તેમણે ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો. આ લોકોએ ઘરની અંદર મંદિર પણ બનાવ્યું હતું. જે સમયે આ કાર્યવાહી કરવામાં આવી તે સમયે આરોપીના માતા-પિતા હાજર હતા. આરોપીનો એક બીજો ભાઈ નજીકમાં જ ચા ની દુકાન ચલાવે છે.
ભારે વહીવટી સ્ટાફની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ
જે સમયે વહીવટી તંત્ર બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યુ હતું તે સમયે આસપાસના લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જોકે, આ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન નડે તે માટે પોલીસ-વહીવટી તંત્રએ શક્ય તમામ તૈયારીઓ કરી લાધી હતી. ભારે વહીવટી સ્ટાફની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની છબી મામા કરીકેની છે. રાજ્યમાં તેમને મામા કહેવામાં આવે છે. શિવરાજ સિંહ ચૌહાણ અનેક વખત અપરાધીઓને એ ચેતવણી આપી ચૂક્યા છે કે, દીકરીઓ પર અત્યાચાર કરનારાઓને છોડવામાં નહીં આવે. આ અગાઉ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં અપરાધીઓ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.