'બુલેટ દા' તરીકે ફેમસ ભાજપના નેતા ભીખ માગતા દેખાયા, ફોટો વાયરલ થતાં જ પક્ષમાં દોડધામ
BJP leader Indrajit Sinha Begging: પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક સમયે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ઈન્દ્રજીત સિંહા બીરભૂમ જિલ્લાના તારાપીઠ સ્મશાનભૂમિમાં ભીખ માગતા જોવા મળ્યા હતા. 'બુલેટ દા' તરીકે ઓળખાતા આ નેતાની તસવીર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો.
ભાજપના નેતાની ભીખ માગતી તસવીર વાયરલ
પાર્ટીના જૂના નેતાની હાલત જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ.સુકાંત મજમુદાર એક્શનમાં આવ્યા. તેમણે તરત જ બીરભૂમના બીજેપી જિલ્લા અધ્યક્ષને બીમાર ઈન્દ્રજીત સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ સિંહાની આ હાલતની નોંધ લીધી હતી. આ પછી 'બુલેટ દા'ને કોલકાતાની એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જાણો કોણ છે ઈન્દ્રજીત સિંહા
ઈન્દ્રજીત સિંહા એક સમયે બંગાળ બીજેપીમાં હેલ્થ સર્વિસ સેલના કન્વીનર હતા. તેમણે ભાજપના કાર્યકરો અને સમર્થકોને તેમના મુશ્કેલ અને તકલીફના સમયમાં રાજ્યની લગભગ તમામ સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાવવાનું કામ કર્યું હતું.
તેઓ લગભગ 10 વર્ષ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને આરોગ્ય ક્ષેત્રે પક્ષની પકડ મજબૂત કરવા માટે સતત કામ કર્યું હતું. તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહાની સલાહ પર તેઓ રાજકારણમાં સક્રિય થયા અને પોતાની મહેનતથી પાર્ટીમાં પોતાનું નામ બનાવ્યું.
ઈન્દ્રજીત સિંહા 2 વર્ષથી તેઓ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે
તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. શરૂઆતમાં ગાંઠ મળી આવી હતી, પરંતુ પછી ડોક્ટરોએ તેને અસાધ્ય કેન્સર હોવાની પુષ્ટિ કરી હતી. સારવાર માટે કોઈ નક્કર વ્યવસ્થાના અભાવે તેમને ઘરે-ઘરે ભટકવાની ફરજ પડી હતી. તેમની પાસે રહેવાની કે જમવાની કોઈ વ્યવસ્થા ન હતી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેમણે તારાપીઠ સ્મશાનભૂમિમાં ભીખ માંગીને જીવવું પડ્યું.
આ પણ વાંચો: 'વક્ફની એક ઈંચ જમીન પણ નહીં છોડીએ...' ઓવૈસીનો કેન્દ્ર સરકારને ચેતવતો VIDEO વાયરલ
કાર્યકરોની સામાજિક સુરક્ષાને લઈને સવાલો ઉઠવા લાગ્યા
40 વર્ષીય ઈન્દ્રજીત સિંહા અપરિણીત છે અને તેના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. પરિવારમાં કોઈ સહારો ન હોવાને કારણે તેઓ સાવ નિરાધાર બની ગયો. બે મહિનાથી વધુ સમય સુધી તેમણે સ્મશાનમાં એક ઝાડ નીચે રાતો વિતાવી. આ ઘટના સામે આવ્યા બાદ રાજકારણમાં કામ કરતા નેતાઓ અને કાર્યકરોની સામાજિક સુરક્ષાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. પાર્ટીમાં રહીને તેમણે અન્યોની સારવાર અને કલ્યાણ માટે કામ કર્યું, પરંતુ જ્યારે તેઓ પોતે મુશ્કેલીમાં આવી ગયા ત્યારે તેમની સંભાળ રાખનાર કોઈ નહોતું.