દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત
Bird Flu Case in Andhra Pradesh : આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર ઍલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન (WOAH)એ આજે (28 માર્ચ) આઠ કેસની પુષ્ટિ કરી છે. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલા શરુ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસના કારણે છ લાખથી વધુ મરઘીઓના મોત થયા છે.
મરઘાં ફાર્મની પોલટ્રીમાં બીમારી ફેલાઈ
WHAHના રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના અનેક મરઘા ફાર્મમાં વાયરસ ફેલાયો છે, જેના કારણે મરઘા ફાર્માના માલિકોએ તકેદારીના પગલા શરુ કરી દીધા છે. બર્ડ ફ્લૂના વાયરસ H5N1 અત્યંત ચેપી અને જીવલેણ હોય છે. આ વાયરસ મરઘા માટે ખતરનાક છે અને તેના કારણે અનેક મરઘીના મોત થયા છે. એટલું જ સ્થાનિક કૃષિ પર પણ તેની અસર પડી છે.
વાયરસ મનુષ્યો માટે પણ ઘાતક
આ વાયરસ પક્ષીઓ સાથે-સાથે મનુષ્યો માટે પણ ઘણો ઘાતક છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવનારા જાનવર અને મનુષ્ય તેનાથી સંક્રમિત થઈ શકે છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી મોત પણ થઈ શકે છે.
આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો
પહેલો કેસ 1997માં હોંગકોંગમાં આવ્યો હતો
બર્ડ ફ્લૂ ઘણાં પ્રકારના હોય છે પરંતુ H5N1 પહેલો એવો એવિયન ઈન્ફ્લૂએંજા વાયરસ છે, જે મનુષ્યોને સંક્રમિત કરે છે. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે બર્ડ ફ્લૂના પ્રકોપથી પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમિત મરઘીઓ સાથે જોડવામાં આવ્યો હતો.
કેવી રીતે ફેલાય છે વાયરસ?
આ રોગ પ્રકૃતિક રીતે પક્ષીઓમાં હોય છે પરંતુ આ પાલતુ મુરઘીઓમાં સરળતાથી ફેલાઈ જાય છે. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોં કે લાળ કે આંખમાંથી નિકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લાંબા સમય સુધી જીવિત રહેવાની ક્ષમતા હોય છે. સંક્રમિત પક્ષીઓના મળ અને લાળમાં વાયરસ 10 દિવસ સુધી જીવિત રહે છે. આ રોગ ફેલાવવાનો સૌથી વધારે ખતરો મરઘીપાલન સાથે જોડાયેલા લોકોને છે.
વાયરસના લક્ષણો
બર્ડ ફ્લૂથી સંક્રમિત થવા પર કફ, ડાયરિયા, તાવ, શ્વાસ સાથે જોડાયેલ મુશ્કેલીઓ, માથું દુખવું, માંંસપેશીઓમાં દુખાવો, ગળામાં ખારાશ, નાક વહેવું અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયા તો કોઈ અન્યના સંપર્કમાં આવતાં પહેલા ડૉક્ટરને દેખાડવું.
સારવાર
અલગ-અલગ બર્ડ ફ્લૂની અલગ-અલગ રીતે સારવાર કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણ જોવા મળે તો બને એટલી જલ્દી એની દવા લેવી જરૂરી હોય છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ સિવાય તેની સંપર્કમાં આવેલા ઘરના સભ્યોએ પછી ભલે તેમને લક્ષણો ના જણાતા હોય પરંતુ દવા લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર