ભાજપ નીતિશને CM ચહેરો બનાવવા માંગતી નથી? ચૂંટણી પહેલા JDUએ મોદી-નડ્ડાનું વધાર્યું ટેન્શન
Bihar Assembly Election 2025 : બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે અત્યારથી જ રાજકારણ શરૂ થઈ ગયું હોય, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચૂંટણીને લઈને ભાજપ માટે સૌથી મોટું ટેન્શન મુખ્યમંત્રીના ચહેરાની છે, કારણ કે નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રીના ચહેરો બનાવવા જેડીયુ ભાજપ પર દબાણ વધારી રહી છે, જ્યારે બીજીતરફ ભાજપ આ મુદ્દે હાલ કંઈપણ બોલી રહી નથી.
PMએ નીતિશને લાડલા મુખ્યમંત્રી કહ્યા, પરંતુ CM ઉમેદવાર જાહેર ન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગત સપ્તાહે ભાગલપુર આવ્યા હતા. અહીં તેમણે ભાજપ-જેડીયુની સંયુક્ત રેલીનો સંબોધન કરી નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar)ને લાડલા મુખ્યમંત્રી કહ્યા હતા. પરંતુ JDU આ બાબતથી ખુશ નથી. જેડીયુને આશા હતી કે, વડાપ્રધાન મોદી નીતિશને એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે, પણ તેવું થયું નહીં.
નીતિશને CM ઉમેદવાર બનાવવા પુત્રની માંગ
આમ તો બિહારના કોઈપણ જેડીયુ નેતાએ આ મુદ્દે વડાપ્રધાનની ટીકા કરી નથી, પરંતુ પીએમ મોદીની રેલીના એક દિવસ બાદ નીતિશના પુત્ર નિશાંત કુમારે માંગ કરી છે કે, એનડીએ આગામી ચૂંટણીમાં તેમના પિતાને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નિશાંત હજુ સત્તાવાર રાજકારણમાં જોડાયા નથી. પીએમ મોદી દ્વારા નીતિશને લાડલા કહેવા મુદ્દે નિશાંતે કહ્યું કે, ભાજપ ગઠબંધનનો ભાગ છે, તેથી વડાપ્રધાન દ્વારા માતા પિતાને આવું કહેવું સ્વાભાવિક વાત છે.
આ પણ વાંચો : માધબી પુરી બુચ અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરો: ACB કોર્ટનો આદેશ
CM ફેસ મુદ્દે ભાજપ અસમંજસમાં?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જાયસવાલે કહ્યું કે, ‘બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે, પરંતુ ચૂંટણી બાદ સંસદીય બોર્ડ દ્વારા મુખ્યમંત્રીનો નિર્ણય કરવામાં આવશે. બીજીતરફ કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે, ‘અમે મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નીતિશનું સમર્થન કરીશું.’ પટણાના એક કાર્યક્રમમાં માંઝીએ નીતિશની ઉપસ્થિતિમાં કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં NDA 243 સંસદીય બેઠકોમાંથી 225થી વધુ બેઠકો જીતશે. માંઝીએ નિશાંતના રાજકારણમાં આવવાની સંભાવનાઓનું પણ સ્વાગત કર્યું છે.
અન્ય પક્ષોનું પણ નીતિશને સમર્થન
ચિરાગ પાસવાનની આગેવાનીવાળી જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા (RLM) સહિત અન્ય ભાજપના સાથી પક્ષોએ પણ મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નીતિશને સમર્થન આપ્યું છે. જોકે જેડીયુના એક વરિષ્ઠ નેતાઓ કહ્યું કે, અમે તમામ લોકોના સમર્થનથી ખુશ છીએ, પરંતુ વડાપ્રધાન મોદી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સત્તાવાર રીતે નીતિશને સીએમ ઉમેદવાર તરીકે જાહેર કરે તો તે યોગ્ય રહેશે.