ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ
Bihar Assembly Election 2025 : બિહારના બક્સરમાં ગઈકાલે (20 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge)ની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ એકઠી ન થતા કોંગ્રેસે કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બક્સર જિલ્લાના અધ્યક્ષ મનોજ કુમાર પાંડે (Manoj Kumar Pandey)ને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. એવું કહેવાય છે કે, ખડગેની સભા માટે વ્યાપક તૈયારી કરાઈ હતી, જોકે સભા સ્થળે ઘણા ઓછા લોકો પહોંચ્યા હતા, જેના કારણે પાર્ટી નારાજ થઈ છે. પાર્ટીએ આ બેદરકારીને ગંભીરતાથી સસ્પેન્ડની કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બિહાર વિધાનસબા ચૂંટણીમાં કોઈ સમસ્યા ઉભી ન થાય, તેને ધ્યાને રાખી ટૂંક સમયમાં બક્સર જિલ્લા સંગઠનમાં નવી નિમણૂક કરાશે.
ખડગેએ જનસભામાં નીતીશ કુમાર અને ભાજપ પર સાધ્યું હતું નિશાન
રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના બક્સરના દલસાગર સ્ટેડિયમમાં આયોજિત 'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલી'ને સંબોધિત કરતાં નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar) અને BJPના ગઠબંધનની ટીકા કરી હતી. ખડગેએ નીતિશ કુમાર સત્તા માટે વારંવાર પલટી મારતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ખડગેએ કહ્યું કે, 'બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપનુ ગઠબંધન નકામું છે. આ બંને ગઠબંધન માત્ર સત્તા માટે એક-બીજાની સાથે છે. નીતિશ કુમાર ખુરશી માટે વારંવાર ગઠબંધન બદલી નાખે છે.’
વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘નીતિશ કુમારે હાલ એ લોકો સાથે ગઠબંધન કર્યું છે, જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. બિહારના લોકોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ કરવો જોઈએ કે, વડાપ્રધાન મોદીએ 2015માં રાજ્યને રૂ. 1.25 લાખ કરોડનું પેકેજ આપવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું. વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. બિહારમાં એનડીએ સરકારનો પર્દાફાશ કરવો પડશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મત આપવા અપીલ છે.'
નેશનલ હેરાલ્ડ કેસ પર બોલ્યા ખડગે
નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) પર ઈડીની સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કાર્યવાહી મુદ્દે ખડગેએ જણાવ્યું કે, ઈડી દ્વારા ભાજપ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ચાર્જશીટ દાખલ કરી બદલાનું રાજકારણ રમી રહ્યું છે. પરંતુ અમે ભયભીત થઈશું નહીં. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે જીવ આપી દીધો હતો.
BJP-RSS પર આરોપ
મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે, ભાજપ અને RSS નબળા લોકોનો વિરોધ કરે છે. તે જાતિ, ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવી રહ્યો છે. આ લોકો મહિલાઓ, ગરીબ અને પછાતવર્ગના હિત વિશે વિચારતા નથી. ભાજપ અને સંઘ જાણીજોઈને વક્ફ સંશોધન બિલ લાવ્યું છે. જેથી સમુદાયો વચ્ચે દ્વેષની લાગણી ફેલાવી શકાય.
આ પણ વાંચો : રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં... કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઈકોર્ટ