જેલમાં બંધ અમૃતપાલના 7 સાથીઓ સામે NSA નહીં, હવે કેસ ચાલશે ! પંજાબ સરકારનો નિર્ણય
Punjab News : દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે NSA હેઠળ અમૃતપાલના 7 સાથીઓ સામે NSAની અવધિ ન વધારવાનો અને તેમની સામે કેસ ચલાવાનો નિર્ણય લીધો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે.
અમૃતપાલના 7 સાથીઓને પંજાબ લાવી કેસ ચલાવાશે
સૂત્રોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંઘ (Amritpal Singh)ના સાત સાથીઓ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે, જેમની સામે પંજાબ સરકારે NSA ન વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર આ સાતેય આરોપીઓ સામે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાનો કેસ ચલાવવા ઈચ્છે છે. સરકારે એવું પણ કહ્યું છે કે, આ સાતેય આરોપીનો પંજાબ લવાશે, પછી તેમની સામે કેસ શરૂ કરવામાં આવશે. જોકે સરકારે અમૃતપાલ અને તેના બે સાથીઓ અંગે હજુ કોઈપણ નિર્ણય લીધો નથી.
સાંસદ અમૃતપાલને 54 દિવસની રજા અપાઈ
આ પહેલા કેન્દ્ર સરકારે પંજાબની ખડૂર સાહિબ બેઠક પરના સાંસદ અમૃતપાલ સિંહ અંગે હરિયાણા કોર્ટને માહિતી આપી હતી કે, જેલમાં બંધ સાંસદને 54 દિવસની રજા અપાઈ છે. આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ સતપાલ જૈને ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમિત ગોયલની ડિવિઝન બેંચ સમક્ષ લોકસભા સચિવાલય દ્વારા 11 માર્ચે જારી કરાયેલા પત્રને રજૂ કરતી વખતે આપી હતી.
આ પણ વાંચો : હાથરસમાં 7 વર્ષની બાળકી પર કિશોરે આચર્યું દુષ્કર્મ, રોષે ભરાયેલા ટોળાનો પથ્થરમારો
અમૃતપાલને સંસદમાંથી હાંકી કાઢવાનો ડર દૂર થયો
પત્ર દ્વારા જણાવાયું હતું કે, અમૃતપાલ સિંહને 24 જૂન-2024થી બે જુલાઈ-2024 સુધી, 22 જુલાઈ-2024થી 9 ઓગસ્ટ-2024 સુધી અને 25 નવેમ્બર-2024થી 20 ડિસેમ્બર 2024 સુધી રજા અપાઈ હતી. આ મુદ્દે ખંડપીઠે કહ્યું કે, ‘અરજદાર (અમૃતપાલ)ને સંસદમાંથી હાંકી કાઢવાનો ડર હતો, જોકે આ પત્રથી તેમી ચિંતા દૂર થઈ ગઈ છે. અમૃતપાલે અરજીમાં માંગ કરી હતી કે, સાંસદ ફંડ સંબંધિત સ્થાનિક વિકાસ કાર્યો માટે અધિકારીઓ અને મંત્રીઓને મળવાની પરવાનગી આપવામાં આવે, જે પર કોર્ટે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી કેટલાક નિયમોને આધીન ચાલે છે, તેથી અરજદારે આ મુદ્દે લોકસભા અધ્યક્ષને અરજી કરે.
અમૃતપાલ દિબ્રુગઢની જેલમાં બંધ
વારિસ પંજાબ દે સંગઠનનો પ્રમુખ અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે. તેણે અરજી કરીને લોકસભા સત્રમાં ભાગ લેવા માટે મંજૂરી માંગી હતી. તેનું કહેવું હતું કે, મારી સતત ગેરહાજરીના કારણે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેના કારણે તેમના ક્ષેત્રના લોકો પ્રતિનિધિત્ત્વ વગર રહી રહ્યા છે. તેણે તર્ક આપ્યો હતો કે, જો લોકસભામાં મારી 60 દિવસની ગેરહાજરી થાય, તો મારી બેઠક ખાલી જાહેર થઈ શકે છે, જેના કારણે 19 લાખ મતદારોને અસર થઈ શકે છે.
આ પણ વાંચો : મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન, ઉદયપુરનો સિટી પેલેસ બે દિવસ માટે બંધ