POCSO કેસ: ભાજપ નેતા યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
POCSO કેસ: ભાજપ નેતા યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો 1 - image


BJP Leader BS Yediyurappa POCSO Case : બેંગલુરુની કોર્ટે કર્ણાટક (Karnataka)ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા બી.એસ.યેદિયુરપ્પા વિરુદ્ધ પૉક્સો કેસમાં આજે (13 જૂન) બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ 17 વર્ષીય સગીરાની માતાની ફરિયાદ બાદ યેરિયુરપ્પા વિરુદ્ધ પૉક્સો એક્ટ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 354A (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાની ફરિયાદ મુજબ, બેંગલુરુના ડૉલર્સ કૉલોનીમાં બે ફેબ્રુઆરી-2024ના રોજ યેદિયુરપ્પાના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ નેતાએ તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું છે. આ કેસની તપાસ કરી રહેલી IDએ કોર્ટમાં અરજી કરી યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માંગ કરી હતી.

યેદિયુરપ્પા CID સમક્ષ હાજર ન થયા

હાલ યેદિયુરપ્પા દિલ્હીમાં છે. આ પૉક્સો કેસની તપાસ કરી રહેલી સીઆઈડીએ યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ પહેલા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જો જરૂર પડશે તો સીઆઈડી યેદિયુરપ્પાની ધરપકડ કરી શકે છે. સીઆઈડીએ યેદિયુરપ્પાને 12 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં હોવાથી 17 જૂને હાજર થશે.

જાણો શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, બેંગલુરના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ 14 માર્ચે ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તે અને તેની પુત્રી યેદિયુરપ્પાના ઘરે કામ કરવા ગઈ હતી, ત્યારે તેણે તેની સગીર પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું. કર્ણાટક સરકારે કેસની ગંભીરતાને ધ્યાને લઈ સીઆઈડીને તપાસ સોંપી હતી. યેદિયુરપ્પા સીઆઈડી સમક્ષ એકપણવાર હાજર થયા નથી.

ફરિયાદ કરનાર મહિલાનું મોત

ફરિયાદી મહિલા ઘણા દિવસોથી બિહાર હોવાના કારણે તેનું 26 મેએ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પીડિતાના ભાઈએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી કરીને યેદિયુરપ્પાની ધરપકડની માંગ કરી હતી. યેદિયુરપ્પાએ આ કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી અને તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે હવે ધરપકડ વોરંટ જારી થયા બાદ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે.

યેદિયુરપ્પાની મુખ્યમંત્રીની સફર

નોંધનીય છે કે, યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019થી 2021 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2021માં રાજીનામું આપ્યું હતું, પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.


Google NewsGoogle News