વક્ફ કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારા અને આગચંપીના બનાવ, 163 લાગુ
West Bengal Violence Against Waqf Act: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે સાંજે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આક્રમક અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં વક્ફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આગચાંપીની ઘટનાઓ બની હતી. હિંસા બાદ બંગાળના મુર્શિદાબાદના બે વિસ્તારોમાં કલમ 163 લાગુ કરી દેવાઈ છે. જાહેર જગ્યાઓ પર એકઠા થવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
જંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે પરવાનગી વિના મોટી સંખ્યામાં ટોળું ભેગું થતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અથડામણ શરુ થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
અથડામણમાં અનેક ઘાયલની આશંકા
આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.