VIDEO : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડી માફી માગી, જાણો શું હતો વિવાદ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદીત નિવેદનથી સંકટમાં મુકાયા બાદ માફી માગી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંત તુકારામના પત્ની અંગે ટીપ્પણી કરતા મહારાષ્ટ્રમાં માહોલ ગરમાયો
Image - Bageshwar Dham Sarkar Facebook |
પુણે, તા.02 ફેબ્રુઆરી-2023, ગુરુવાર
બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સંકટમાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બોલતા જોવા મળી રહ્યા છે કે, સંત તુકારામની પત્ની તેમને દંડાથી મારતી હતી. આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રમાં કુનબી સંપ્રદાયના લોકો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ નિવેદનથી નારાજ થયા છે. આ નિવેદનના કારણે કુનબી સંપ્રદાયે પુણેમાં પ્રદર્શન કર્યું અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી રહ્યા છે.
સંત તુકારામના પત્ની પર કરી હતી ટીપ્પણી
જોકે વિવાદાસ્પદ નિવેદન કરાયા બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માફી માગી લીધી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, મારા શબ્દોથી જે વ્યક્તિઓની લાગણી દુભાઈ છે, હું તેમની હાથ જોડીને માફી માગું છું. સંત તુકારામ એક મહાન સંત હતા. તેઓ મારા આદર્શ છે. અમે તેમના પત્ની વિશે માત્ર એક જ વિચાર રજૂ કર્યો હતો. મે એક વાર્તા વાંચી હતી, જેમાં સંત તુકારામના પત્ની તેમને શેરડી લેવા મોકલે છે. ત્યારબાદ તે શેરડીથી તેમની ધોલાઈ... તો તેના બે ટુકડા થઈ ગયા... મેં ફક્ત મારા વિચારથી તેને સમજાવ્યું હતું. મારા શબ્દોના કારણે લોકોની લાગણી દુભાઈ છે. હું હાથ જોડીને સૌની માફી માગું છું. હું મારા શબ્દોનો પાછા લઉં છું.
रामचरितमानस के अपमान पर पूज्य सरकार की नाराज़गी…. https://t.co/CiJtk1nf0j#bageshwardhamsarkar #bageshwardham@NewsNationTV @news24tvchannel @ZeeNews @NavbharatTimes @News18India @ABPNews @BBCHindi @aajtak @JagranNews @DainikBhaskar pic.twitter.com/QxaOHDT0iO
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 30, 2023
NCPના નેતાએ આપી હતી ચેતવણી
મળતી માહિતી મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા કરાયેલી 17મી સદીના સંત તુકારામ પર ટીપ્પણી અંગે માફી માંગવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. અમોલ મિટકરીએ કહ્યું હતું કે, જો આ મૂર્ખને વારકરી સંપ્રદાયની ખબર ન હોય, તો તેણે બોલવું ન જોઈએ. જો તે માફી ન માંગે તો મહારાષ્ટ્રમાં વારકરી તેને જડબાતોડ જવાબ આપશે. ધીરેન્દ્ર કૃષ્ણએ માફી માગવી જોઈએ અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ.