અયોધ્યા રામલલાના દર્શનના ટાઇમમાં કરાયો ફેરફાર, જાણો ક્યારે ખુલશે કપાટ અને ક્યારે થશે શ્રૃંગાર આરતી
Ram Temple Darshan New Timings: જો તમે રામલલાના દર્શન કરવા અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. કારણ કે, રામલલા મંદિરમાં દર્શન અને અનુષ્ઠાન વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યાને બદલે સવારે છ વાગ્યે ખુલશે.
મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે, ત્યારબાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. અને સવારે છ વાગ્યે શ્રૃંગાર આરતી થશે અને આ જ સમયે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
રાજભોગ બપોરે 12 વાગ્યે પીરસવામાં આવશે
રામ ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે રાજભોગ બપોરે 12 વાગ્યે પીરસવામાં આવશે અને ભોગ લગાવ્યા પછી પણ ભક્તો દર્શન કરી શકશે. તેમજ સંધ્યા આરતી સાંજે 7 વાગ્યે થશે. આ સમય દરમિયાન મંદિરના દરવાજા 15 મિનિટ માટે બંધ રહેશે ત્યારબાદ તે ખોલવામાં આવશે. એ પછી શયન આરતી રાત્રે 10 વાગ્યે થશે. એ પછી મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.
પ્રસાદ સમયે પણ ભક્તો દર્શન કરી શકશે.
ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલા શયન આરતી રાત્રે 9.30 વાગ્યે થતી હતી. રામ મંદિર ટ્રસ્ટે ભક્તોની વધતી સંખ્યાને કારણે આ નિર્ણય કર્યો છે. જેથી શ્રદ્ધાળુ સરળતાથી દર્શન કરી શકે. દર્શન અને ધાર્મિક વિધિઓ માટે સાંજે લગભગ અડધો કલાક અને સવારે દોઢ કલાક ઉમેરીને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રસાદ સમયે પણ ભક્તો દર્શન કરી શકશે.
આ પણ વાંચો : નોકરીની તકો, સેલેરી વધશે...: આ 4 રાશિના જાતકો માટે આગામી 70 દિવસ અત્યંત શુભ
અયોધ્યામાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
ઉલ્લેખનીય છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલુ હોવાથી અયોધ્યામાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારે બેઠકમાં એમ પણ કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં 'નોંધપાત્ર વધારો' થયો છે અને જિલ્લામાં મુલાકાતીઓની કુલ સંખ્યા 2020માં 60 લાખથી વધીને 2024માં 16 કરોડથી વધુ થઈ છે.