Ayodhya Ram Mandir : પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થરની મૂર્તિ ભગવાન કેવી રીતે બને? જાણો પ્રક્રિયા

હિન્દુ શાસ્ત્રો મુજબ પ્રાણપ્રતિષ્ઠા વગર કોઈપણ મૂર્તિની સ્થાપના ન કરી શકાય

મૂર્તિમાં પ્રાણ સ્થાપવાના દેવી-દેવતાઓનું પણ આહ્વાન કરી આમંત્રણ અપાય છે

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
Ayodhya Ram Mandir : પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થરની મૂર્તિ ભગવાન કેવી રીતે બને? જાણો પ્રક્રિયા 1 - image


Ayodhya Ram Mandir : હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાની સ્થાપના થઈ ગઈ છે. દેશભરમાં પણ અનેરો ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંતો-મહંતો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો છે. દેશભરમાં ઘણા સ્થળોએ ફટાકડા ફોડી, શોભાયાત્રાનું આયોજન કરી જય શ્રી રામનો નાદ સાંભળવા મળી રહ્યો છે. હિન્દુ શાસ્ત્રો મુજબ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું ખુબ જ મહત્ત્વ હોય છે, પ્રાણપ્રતિષ્ઠા વગર કોઈપણ મૂર્તિની સ્થાપના થઈ સકતી નથી. હિન્દુ ધર્મ મુજબ કોઈપણ મંદિરમાં વિધિ-વિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ જ દેવી-દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા એટલે મૂર્તિમાં પ્રાણની સ્થાપના કરવી અથવા મૂર્તિમાં જીવન શક્તિને સ્થાપિત કરી દેવતાનું રૂપ આપવું.

પ્રાણપ્રતિષ્ઠા વગર કોઈપણ મૂર્તિની પૂજા ન કરી શકાય

પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન મંત્રોનું ઉચ્ચારણ અને વિધિ-વિધાનથી પૂજા કરી મૂર્તિમાં પ્રાણ સ્થાપવામાં આવે છે. શાસ્ત્રો મુજબ કોઈપણ મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા કર્યા પહેલા ઘણા તબક્કાની ધાર્મિક વિધિઓ કરવી પડે છે. આ તમામ તબક્કાને અધિવાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના પુરાણો અને ગ્રંથોમાં પ્રાણપ્રતિષ્ઠાનું વર્ણન કરાયું છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ પ્રાણપ્રતિષ્ઠા વગર કોઈપણ મૂર્તિની પૂજા ન કરી શકાય. પ્રાણપ્રતિષ્ઠા પહેલાની મૂર્તિ નિર્જિવ હોય છે અને પ્રાણપ્રતિષ્ઠા બાદ જ મૂર્તિમાં પ્રાણ પુરાય છે, ત્યારબાદ જ મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

પ્રાણપ્રતિષ્ઠાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

પ્રાણપ્રતિષ્ઠાના ઘણા તબક્કા હોય છે, જેને અધિવાસ કહેવાય છે. અધિવાસની પ્રક્રિયા દરમિયાન મૂર્તિનું વિવિધ વસ્તુઓમાં સ્નાન કરાવાય છે, જેમાં પહેલા મૂર્તિને પાણીમાં રાખવામાં આવે છે, ત્યારબાદ અનાજમાં, પછી ફળોમાં અને ફરી મૂર્તિને ઔષધિ, કેસર અને ત્યારબાદ ઘીમાં રાખવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ વિધિ-વિધાન સાથે મૂર્તિનું સ્નાન કરાવાય છે, જેમાં વિવિધ સામગ્રીઓથી સ્નાન અને અભિષેક કરવામાં આવે છે.

સ્નાન બાદ ઘણા મંત્રોનું ઉચ્ચારણ કરી ભગવાનને જગાડવામાં આવે છે. ત્યારબાદ પ્રાણપ્રતિષ્ઠાની પૂજા ક્રિયા શરૂ થાય છે. પૂજા દરમિયાન મૂર્તિનું મુખ પૂર્વ દિશામાં હોવું જરૂરી છે. પછી તમામ દેવી-દેવતાઓનું આહવાન કરી તેમને આ શુભ કાર્યમાં સામેલ થવા આમંત્રણ અપાય છે, જેમાં મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

પૂજાની તમામ ક્રિયાઓ કરતી વખતે ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી શ્રૃંગાર કરાય છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ મૂર્તિને અરીસો દેખાડવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાનની આંખોમાં અસહ્ય તેજ માત્ર ભગવાન જ સહન કરી શકે છે. અંતે પૂજા-અર્ચના કરી શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.


Google NewsGoogle News