ઓવૈસીના કાફલા પર ગોળીબાર કરનાર આરોપીના જામીન નામંજૂર
- SCએ આરોપીઓને આજથી એક સપ્તાહની અંદર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે
નવી દિલ્હી,તા.11 નવેમ્બર 2022,શુક્રવાર
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગોળીબાર કરનારા બંને આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધા છે. અગાઉ બંને આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. SCએ આરોપીઓને આજથી એક સપ્તાહની અંદર જેલ ઓથોરિટી સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું.
જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એમએમ સુંદરેશની ખંડપીઠે કહ્યું કે, હાઈકોર્ટે જામીન આપતી વખતે કોઈ કારણ આપ્યું નથી. SCએ હાઈકોર્ટને બંને આરોપીઓની જામીન અરજી પર શરણાગતિની તારીખથી 4 અઠવાડિયાની અંદર નિર્ણય લેવા જણાવ્યું હતું. આ કેસમાં સંડોવણી બદલ સચિન શર્મા, શુભમ ગુર્જર અને અલીમની ધરપકડ કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં, ટોચની કોર્ટે ત્રીજા આરોપી અલીમને આપવામાં આવેલી જામીનને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
યુપી ચૂંટણીમાં ટોલ પ્લાઝા પાસે હુમલો થયો હતો
સપ્ટેમ્બરની શરૂઆતમાં, અસદુદ્દીન ઓવૈસીએ હુમલાના મુખ્ય આરોપી અને તેના સાથીઓની જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 2022માં યુપી ચૂંટણી દરમિયાન ઓવૈસીના કાફલા પર હુમલો થયો હતો. જ્યારે AIMIMના વડા UP વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન હાપુડ ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓવૈસી બચી ગયા હતા.
હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે
હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને આરોપીઓ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. હુમલો કરનાર બે પૈકી એક આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. બીજા આરોપીએ આત્મસમર્પણ કર્યું. આ કેસમાં પોલીસે કલમ 307 હેઠળ કેસ નોંધીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.