છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી ઓછો બચતદર, ભારતીયો છુટથી નાણા વાપરવા લાગ્યા છે
બચત ઘટવાનું કારણ વધતું જતું દેવું ખાસ કરીને હોમ લોનના લીધે છે
કોરોના મહામારી દરમિયાન બચત દર વધી ગયો હતો
નવી દિલ્હી,૬ ઓકટોબર,૨૦૨૩,શુક્રવાર
કોરોના પછી લોકો બચતના પૈસા ખર્ચવા પર વધુ ભાર મુકવા લાગ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર મહામારી પછીના આર્થિક નિયંત્રણો દૂર થયા પછી હોમ લોન અને વધુ ખર્ચ કરવાના લીધે પરિવારના લોકોની બચત છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર ૨૦૨૨-૨૩માં પરિવારનો બચત જીડીપી ઘટીને ૫.૧ ટકા રહી છે.
આ બચત ઘટવાનું કારણ વધતું જતું દેવું ખાસ કરીને હોમ લોનના લીધે છે. ભારતમાં સરેરાશ ઘરેલુ બચત ૭.૫ ટકા જેટલી રહી છે પરંતુ કોરોના મહામારી દરમિયાન બચત પર ભાર મુકવાથી બચત વધી ગઇ હતી. મહામારી દૂર થયા પછી જેવા આર્થિક નિયંત્રણો હટયા કે લોકો ખર્ચ માટે બહાર નિકળવા લાગ્યા હતા. સંકટ સમયે સંગ્રહ કરી રાખેલી બચત વપરાવા લાગી હતી. ૨૦૨૨-૨૩ના પ્રથમ કવાટરમાં બચત દર ૪.૨ ટકા જેટલો રહયો હતો. પરિવારો હવે આર્થિક બચતના સ્થાને ફિઝિકલ સેવિંગ કરવા પર ધ્યાન આપી રહયા છે. લોન મેળવીને પણ તેઓ રોકાણ કરીને યોગદાન આપે છે. આ દેવું હકિકતમાં તો નાણા રોકવાના ભાગરુપે જ હોય તેમ જણાય છે.