VIDEO: દિલ્હી ચૂંટણીમાં AAPના સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભાજપને પાઠવી શુભેચ્છા
Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ પર કહ્યું કે, 'જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તે અમને સ્વીકાર્ય છે. ચૂંટણીમાં બહુમતીથી જીતનાર ભાજપને હું અભિનંદન પાછવું છે. દિલ્હીની જનતાએ તેમને બહુમતી આપી છે, તેથી મને આશા છે કે, તેઓ તેના પર ખરા ઉતરશે.'
અમે સત્તા માટે રાજકારણમાં પ્રવેશ્યા નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમે છેલ્લા 10 વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. હવે જનતાએ અમને જે નિર્ણય આપ્યો છે, અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું. પરંતુ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું અને વ્યક્તિગત રીતે જેને પણ જરૂરત હશે, અમે હંમેશા કામ આવીશું. કારણ કે અમે સત્તા માટે રાજકારણમાં પ્રવેશ્યા નથી.'
તમામ કાર્યકરોને અભિનંદન આપવા માગુ છું
તેમણે કહ્યું કે, 'અમે રાજકારણને એક માધ્યમ માનીએ છીએ જેના દ્વારા જનતાની સેવા કરી શકાય છે. જેના દ્વારા લોકોને સુખ-દુઃખમાં કામ આવી શકીએ. અમે ભવિષ્યમાં પણ લોકોના સુખ-દુઃખમાં એ જ રીતે સેવા કરવાની છે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન આપવા માગુ છું. તમે ખૂબ સરસ કામ કર્યું. ખૂબ મહેનત કરી અને એક શાનદાર ચૂંટણી લડ્યાં.'
આ પણ વાંચો: હવે શું કરશે કેજરીવાલ? દિલ્હીમાં AAPના પરાજય બાદ દેખાશે 7 અસર
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી માત્ર સત્તાથી બહાર થઈ ગઈ છે એટલું જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ પોતે પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેમને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા હતા. આ બેઠક પર 14 રાઉન્ડની મતગણતરી બાદ અરવિંદ કેજરીવાલને 42.18 ટકા સાથે 25999 મત મળ્યા. જ્યારે વિજેતા પ્રવેશ વર્માને 30088 મત મળ્યા. કોંગ્રેસના સંદીપ દીક્ષિતને 7.41 ટકા મત સાથે 4568 મત મળ્યા.