‘ભલે ગમે તેટલો સમય લાગે, રાજકારણને સાફ કરજો’ AAPની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal : દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓ અને સમર્થકોને કહ્યું કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. દિલ્હીમાં 10 વર્ષ રાજ કરીને સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના નિવાસસ્થાને મળવા આવેલા કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું કે, ‘ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે. હવે મને જે પણ લોકો મળવા આવે, તેઓએ હસતાં ચહેરે આવવાનું છે. ઉપરવાળાએ મને સત્તા આપી હતી અને હવે તેમની ઈચ્છા કંઈક જુદી હતી.’
કેજરીવાલે કાર્યકરોને હીરો ગણાવ્યા
અરવિંદ કેજરીવાલે પત્ની સુનીતા સાથે બેસીને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાતા મિનિટના આ વીડિયોમાં કેજરીવાલ કાર્યકર્તાઓનું મનોબળ વધારતા કહે છે કે, ‘તમામ લોકોએ ખૂબ જ સારી રીતે ચૂંટણી લડી અને કોઈ કસર છોડી નથી.’ તેમણે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા તેઓને ચૂંટણીના હીરો ગણાવ્યા છે. પૂર્વ સીએમએ કહ્યું કે, ‘મારા કાર્યકર્તાઓને ધમકી અપાઈ, ડરાવવામાં આવ્યા, લાલચ અપાઈ, તેમ છતાં તેઓ તૂટ્યા નહીં.’
આપણે આગામી સમયમાં ચૂંટણી જીવીને બતાવીશું : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, ‘ભલે ગમે તેટલો સમય લાગે, ગુંડાગર્દી કરી અને નાણાંના બળ પર ચૂંટણી લડવામાં આવે અને જીતવામાં આવે, તેવા રાજકારણને સાફ કરજો. આપણે બે ચૂંટણી જીતી બતાવી છે અને આગામી સમયમાં પણ જીતીને બતાવીશું. આપણે પૈસા અને ગુંડાગર્દી વગર ઈમાનદારીથી ચૂંટણી જીતીને દેખાડીશું. બીજી વાત એ છે કે, 2010માં કેજરીવાલને કોઈ ઓળખતું ન હતું, 2011માં અન્ના આંદોલન થયું, 2012માં પાર્ટી બનાવાઈ અને 2013માં સરકાર બનાવાઈ. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે, નવી પાર્ટી આવશે અને સરકાર બનાવશે. ઉપરવાળાનો કંઈક તો ચમત્કાર હતો. ઉપરવાળાએ કહ્યું કે, દિલ્હીની જવાબદારી સંભાળો. મેં ઉપરવાળાની આજ્ઞા માની. અન્ય પાર્ટીએ 70 વર્ષમાં કામ ન કરી શકી, તે આપણે 10 વર્ષમાં કર્યા. હવે ઉપરવાળાની ઈચ્છા જુદી હતી અને કહ્યું કે, ભાઈ બસ આટલું જ હતું.’
‘જેઓ મારા ઘરે આવે, તેઓ હસતાં ચહેરે આવે’
કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું કે, ‘તમે બધા લોકોની સેવા કરવાનું ન છોડતા. સત્તા વગર જેટલી સેવા કરી શકો, તેટલી કરતા રહેજો. જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાના હોય, સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોય, તો સેવા કરતા રહેજો. તમે જેવી પણ સેવા કરી શકો તે કરતા રહેજો. સેવા ઘટવી ન જોઈએ. ચૂંટણી આવતી-જતી રહે છે. હવે જે લોકો મારા ઘરે આવે, તેઓ હસતાં ચહેરે આવે, નિરાશ થવાનું નથી, ખુશ રહેવાનું છે. હાર અને જીત, બંનેમાં મનોબળ ઊંચુ રાખવું જોઈએ.’
આ પણ વાંચો : ‘કેટલાક નેતા આપણા પર્વ-પરંપરાને અપશબ્દો બોલે છે’ બાગેશ્વર ધામમાં બોલ્યા PM મોદી