ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલ નવી આફતમાં ફસાયા, બંગલા પર એક્શનની તૈયારીમાં CVC
Arvind Kejriwal Bungalow Renovation: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 6 ફ્લેગશિપ રોડ ખાતેના બંગલાનું નિરીક્ષણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ 13cr ફેબ્રુઆરીના રોજ આ આદેશ જારી કર્યો હતો. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)નો રિપોર્ટ બહાર આવ્યા બાદ CVCએ તપાસનો આદેશ આપ્યો. રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 40,000 ચોરસ યાર્ડ (8 એકર)માં ફેલાયેલા આ ભવ્ય હવેલીના નિર્માણમાં ઘણાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીનું નિવાસસ્થાન કેવી રીતે વિવાદમાં આવ્યું
ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન (6, ફ્લેગ સ્ટાફ રોડ) ના નવીનીકરણ અને આંતરિક સુશોભન પર વધુ પડતા ખર્ચ અંગે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે ફરિયાદમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, 'અરવિંદ કેજરીવાલે કરદાતાઓના કરોડો રૂપિયા તેમના નિવાસસ્થાન પર ખર્ચ્યા હતા. લક્ઝરી વસ્તુઓ પરનો આ ખર્ચ તાર્કિક મર્યાદાની બહાર છે અને ભ્રષ્ટાચારની ગંભીર શંકાને જન્મ આપે છે.'
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલનો આ બંગલો, જેને વિપક્ષી પક્ષો દ્વારા શીશમહલ નામ આપવામાં આવ્યું છે, તે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. કરોડો રૂપિયાના આ બંગલાનું નવીનીકરણ પણ વિવાદમાં છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીશમહલનો મુદ્દો ખૂબ ઊઠાવવામાં આવ્યો હતો, જેના કારણે કેજરીવાલને નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે ચૂંટણી પરિણામો પછી, સીવીસીએ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.