પાકિસ્તાન સરહદે ઘૂસણખોરી માથાનો દુઃખાવો, સેના વડાએ કહ્યું- ‘અમારો પ્લાન તૈયાર’
જનરલ મનોજ પાંડેએ મણિપુરમાં છેલ્લા ઘણાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા અંગે માહિતી આપી
Army Chief General Manoj Pandey: ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ પાકિસ્તાન સરહદે આતંકીઓની ઘૂસણખોરી સહિત ભારતીય સરહદોની સુરક્ષા અંગે અપડેટ આપ્યું છે. તો જાણીએ શું છે દેશની સરહદોની સ્થિતિ.
ભારતની ઉત્તરીય સરહદની સ્થિતિ કેવી છે?
ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે,'ભારતની ઉત્તરી સરહદ પર સ્થિર અને સંવેદનશીલ બંને સ્થિતિ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામા સેના તહેનાત છે અને કોઈપણ પ્રકારના ઓપરેશન માટે સેનાની તૈયારી ખૂબ જ ઉચ્ચ સ્તરે છે. તૈયારીઓની સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર સૈન્ય સ્તર અને રાજદ્વારી સ્તરે પણ વાતચીત ચાલી રહી છે. અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો છે.'
જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસ યથાવત: મનોજ પાંડે
જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં સતત ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સ ઘૂસાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સેના તેને નિષ્ફળ બનાવી રહી છે. રાજૌરી અને પુંછમાં આતંકીઓને પડોશી(પાકિસ્તાન) તરફથી મદદ મળી રહી છે, આવી સ્થિતિ હોવા છતા અહીં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધુ છે.
ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને ત્યાંની સ્થિતિને લઈને જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે, પરંતુ ભારતીય સેના અને આસામ રાઈફલ્સના સંયુક્ત પ્રયાસોને કારણે સ્થિતિ સ્થિર થઈ રહી છે. ત્યાં સ્થિતિ સામાન્યતા તરફ આગળ વધી રહી છે.