Explainer: 15 દિવસમાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, ભારતમાં કેમ વારંવાર આવી દુર્ઘટના થાય છે?

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Explainer: 15 દિવસમાં બીજી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, ભારતમાં કેમ વારંવાર આવી દુર્ઘટના થાય છે? 1 - image


Image: Facebook

Train Accident: દેશમાં ટ્રેન દુર્ઘટના વારંવાર થતી રહે છે. 18 જુલાઈએ યુપીના ગોંડામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોના આંસુ હજુ સૂકાયા પણ નથી કે આજે વધુ એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઈ. મંગળવારે સવારે આ દુર્ઘટના ઝારખંડના ટાટાનગરની નજીક ચક્રધરપુરમાં થઈ. હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા-સીએસએમટી મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં બે મુસાફરના મોત નીપજ્યા જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ રૂટ પર બે દિવસ પહેલાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. હાવડા-સીએસએમટી મેલ આ માલગાડીના ડબ્બાથી ટકરાઈ જ્યારે ગોંડામાં ચંદીગઢ-ડિબ્રૂગઢ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. દેશમાં છેલ્લા 14 મહિનામાં ચાર મોટી રેલ દુર્ઘટના થઈ છે, જેમાં 320થી વધુ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગયા વર્ષે બે જૂને થયેલ બાલાસોર ટ્રેન દુર્ઘટનાના ઘણા સવાલ હજુ સુધી અનુત્તરિત છે. બાલાસોરમાં ત્રણ ટ્રેનો સામ-સામે ટકરાઈ હતી. તે દુર્ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસે એક મોટી માલગાડી અને પછી બીજી તરફથી આવી રહેલી સુપરફાસ્ટ એક્સપ્રેસને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં લગભગ 300 લોકોના મોત નીપજ્યા હતા. શરુઆતના રિપોર્ટથી સંકેત મળે છે કે દુર્ઘટના સિગ્નલ નિષ્ફળતાનું પરિણામ હતું પરંતુ આ કારણે એક વાર ફરી ભારતમાં રેલવે સુરક્ષાને લઈને નવી ચિંતાઓ પેદા કરી દીધી હતી. 

દેશમાં એક લાખ કિ.મી.થી વધુનું નેટવર્ક

ભારતની વિશાળ રેલવે સિસ્ટમ જે દુનિયાની ચોથી સૌથી મોટી રેલવે છે. દરરોજ એક લાખ કિ.મી.થી વધુ ફેલાયેલા દેશવ્યાપી ટ્રેક નેટવર્ક પર ટ્રેનો લગભગ અઢી કરોડ મુસાફરોને લાવે અને લઈ જાય છે. રિપોર્ટ અનુસાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અનુસાર વર્ષ 2022માં લગભગ 5,200 કિ.મી. નવા ટ્રેક બનાવવામાં આવ્યા. મંત્રીએ કહ્યું કે દર વર્ષે 8,000 કિ.મી. ટ્રેકને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 100 કિમી/કલાક સુધીની ગતિથી ચાલનારી ટ્રેનોને સમાયોજિત કરવા માટે મોટાભાગના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવી રહ્યા હતા. એક મોટા ભાગને 130 કિમી/કલાક સુધીની ગતિ માટે વધારવામાં આવી રહ્યો છે અને એક મહત્ત્વપૂર્ણ વિભાગને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. 160 કિમી/કલાક સુધીની હાઇ સ્પીડ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

ટ્રેન પાટા પરથી ઉતરવાના ઘણાં કારણ

સમગ્ર દેશમાં ફાસ્ટ ટ્રેન દોડાવવાની સરકારની યોજના છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદ શહેરની વચ્ચે એક હાઇ-સ્પીડ લાઇન અલગથી બનાવવામાં આવી રહી છે. રેલવે બોર્ડના એક પૂર્વ અધ્યક્ષે કહ્યું, 'ટ્રેનોનું પાટા પરથી ઉતરવું રેલવે માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. એક ટ્રેન ઘણા કારણોથી પાટા પરથી ઉતરી શકે છે. ટ્રેકની સારસંભાળ ખરાબ હોઈ શકે છે, કોચ ખરાબ હોઈ શકે છે અને ગાડી ચલાવવામાં ભૂલ હોઈ શકે છે.'

70 ટકા દુર્ઘટના ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે

વર્ષ 2019-20ના એક સરકારી રેલવે સુરક્ષા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 70 ટકા રેલવે દુર્ઘટનાઓ માટે તેનું પાટા પરથી ઉતરી જવું જવાબદાર હતું, જે ગયા વર્ષે 68 ટકાથી વધુ હતું. તે બાદ ટ્રેનમાં આગ લાગવી અને ટક્કર લાગવાના મામલા આવે છે. જે કુલ દુર્ઘટનાઓમાં ક્રમશ: 14 અને 8 ટકા માટે જવાબદાર છે. રિપોર્ટમાં વર્ષ 2019-20 દરમિયાન 33 પેસેન્જર ટ્રેન અને સાત માલગાડીઓથી સંબંધિત 40 ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટનાઓ બની. તેમાંથી 17 પાટા પરથી ઉતરવાની ઘટનાઓ ટ્રેક ખરાબીના કારણે થઈ. રિપોર્ટ અનુસાર પાટા પરથી ઉતરવાની માત્ર 9 ઘટનાઓ ટ્રેન, એન્જિન, કોચ, વેગનમાં ખરાબીના કારણે થઈ. 

ટ્રેકની નિયમિત સારસંભાળ જરૂરી

ધાતુથી બનેલા રેલવેના પાટાઓ ગરમીના મહિનાઓમાં ફેલાય છે અને શિયાળામાં તાપમાનમાં ઉતાર-ચઢાવના કારણે સંકોચાય છે. તેમને નિયમિત સારસંભાળની જરૂર હોય છે. જેમ કે ઢીલા ટ્રેકને કડક બનાવવો, સ્લીપર બદલવા અને લ્યુબ્રિકેશન અને એડજસ્ટમેન્ટ સ્વીચ સામેલ છે. આ રીતે ટ્રેક નિરીક્ષણ પેડલ, ટ્રોલી, લોકોમોટિવ અને અન્ય વાહનો દ્વારા કરવામાં આવે છે. ભારતીય રેલવેનું સૂચન છે કે ટ્રેક-રેકોર્ડિંગ કારો વડે દર ત્રણ મહિનામાં ઓછામાં ઓછું એક વખત 110 કિમી/કલાકથી 130 કિમી/કલાક સુધીની સ્પીડ જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવેલા ટ્રેકનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. 

કવચ લગાવવાનું કામ ચાલી રહ્યું છે

ભારતીય ટ્રેનોમાં અથડામણ વિરોધી ઉપકરણ (કવચ) લગાવવા વિશે ખૂબ ચર્ચા થઈ છે. કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જેને આરડીએસઓએ ભારતીય રેલવે માટે વિકસિત કરી છે. આ સિસ્ટમ પર રેલવેએ વર્ષ 2012માં કામ કરવાનું શરુ કર્યું હતું. આ તકનીકનો સફળ પ્રયોગ ગયા વર્ષે જ કરવામાં આવી ચૂક્યો છે. જોકે, આ તકનીક દેશના તમામ રેલ રૂટ પર ઉપલબ્ધ નથી. આ સિસ્ટમ અત્યારે માત્ર બે મુખ્ય રૂટ દિલ્હી અને કોલકત્તાની વચ્ચે અને દિલ્હી અને મુંબઈની વચ્ચે લગાવવામાં આવી રહી છે. આ ટૅક્નોલૉજીને તમામ રેલવે ટ્રેક પર લાગુ કરવાની દિશામાં કામ ચાલુ છે.

કવચ શું છે અને કેવી રીતે કામ કરે છે

રેલવેના જણાવ્યા અનુસાર કવચ ટૅક્નોલૉજી ટ્રેનોની સામસામે અથડામણને રોકવાનું કામ કરે છે. આ તકનીકમાં સિગ્નલ જમ્પ કરવા પર ટ્રેન આપમેળે જ રોકાઈ જાય છે. કવચ સિસ્ટમમાં હાઇ ફ્રિક્વન્સીના રેડિયો કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમ ત્રણ સ્થિતિમાં કામ કરે છે. જેમ કે હેડ-ઓન અથડામણ, રિયર-એન્ડ અથડામણ અને સિગ્નલ જોખમ. બ્રેક નિષ્ફળ થવાની સ્થિતિમાં કવચ બ્રેકના સ્વચાલિત ઍપ્લિકેશન દ્વારા ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરે છે. ઓન બોર્ડ ડિસ્પ્લે ઑફ સિગ્નલ એસ્પેક્ટ લોકો પાયલટને ઓછું દેખાવા પર સંકેત આપે છે. એક વખત સિસ્ટમ સક્રિય થઈ ગયા બાદ 5 કિલોમીટરની સરહદની અંદર ટ્રેનો રોકાઈ જાય છે. જ્યાં સુધી આ સંપૂર્ણરીતે લાગુ કરવામાં આવતું નથી ત્યાં સુધી ટ્રેનો ભગવાન ભરોસે જ ચાલશે.

વધુ વાંચો: ઝારખંડના મોટી ટ્રેન દુર્ઘટના, ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત


Google NewsGoogle News