VIDEO: AAPની હાર પર ભાવુક થયા અન્ના હજારે, કહ્યું- 'મેં કેજરીવાલને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ...'
Delhi Assembly Election Results 2025: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હાર પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ભાવુક થઈ ગયા છે. અન્ના હજારે એવું કહેતા ભાવુક થઈ ગયા હતા કે, 'મેં કેજરીવાલને ખૂબ જ સમજાવ્યા હતા, પરંતુ તેમણે સમાજ વિશે ન વિચાર્યું અને રાજકારણમાં જતા રહ્યા. મને તેમના પર ઘણી આશા હતી, મેં તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો, પરંતુ તેમણે તે રસ્તો છોડી દીધો.'
દારુમાં સંડોવાયેલી રહી AAP: અન્ના હજારે
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું, 'હું લાંબા સમયથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું આચરણ, વિચારો અને ચારિત્ર્ય શુદ્ધ હોવું જોઈએ. પરંતુ આ શરાબમાં સંડોવાયેલી રહી. જેના કારણે તેમની છબી ખરાબ થઈ જેના કારણે તેમને ઓછા મત મળ્યા.' અન્ના હજારેએ કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી(AAP)એ દારૂ નીતિ અને પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.'
'ઉમેદવારનું ચારિત્ર્ય શુદ્ધ હોવું જોઈએ'
સામાજિક કાર્યકર્તા અન્નાએ કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલ નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવાની પોતાની ફરજને સમજવામાં નિષ્ફળ ગયા. કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'ઉમેદવારનું ચારિત્ર્ય સ્વચ્છ હોવું જોઈએ અને તેને બલિદાનના ગુણોનો ખ્યાલ હોવો જોઈએ. ઉમેદવારોમાં રહેલા આ ગુણો લોકોનો વિશ્વાસ જીતે છે, અને તેમને લાગે છે કે ઉમેદવાર તેમના માટે કંઈક કરશે.'
મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ હારી ગયા
AAPના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જંગપુરાથી હાર સ્વીકારી લીધી છે, જ્યારે પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી(AAP)ની સ્થાપના 2012માં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ પછી થઈ હતી. કેજરીવાલને હજારેના સમર્થક માનવામાં આવે છે, પરંતુ 2012માં આમ આદમી પાર્ટીની રચના પછી બંને અલગ થઈ ગયા.