6 મહિના બાદ ભારત પરત આવી અંજૂ, થઈ શકે છે ધરપકડ, પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે લગ્ન બાદ બની ગઈ હતી ફાતિમા
Image Source: Twitter
- અંજૂ 6 મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2023, બુધવાર
અલવરથી પાકિસ્તાન પહોંચી ગયેલી 6 મહિના બાદ ભારત પરત ફરી છે. અંજૂનો પતિ તેને વાઘા બોર્ડર પર છોડવા માટે આવ્યો હતો. નસરુલ્લાએ ખુલાસો કર્યો છે કે, તે પોતાના બાળકોને મળવા માટે ભારત ફરી છે અને તે ટૂંક સમયમાં પાછી પાકિસ્તાન આવી જશે. તેની એક તસવીર પણ સામે આવી છે. અંજૂ 6 મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, તે માત્ર ફરવા માટે પાકિસ્તાન ગઈ છે. પરંતુ પછી તેણે પોતાના પાકિસ્તાની મિત્ર નરસુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા. અંજૂએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો અને પોતાનું નામ ફાતિમા રાખી દીધુ હતું.
રાજસ્થાનમાં રહેતી હતી અંજૂ
અંજૂ જૂન મહિનામાં રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન પહોંચી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા હતા જ્યારે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો મુદ્દો છવાયેલો હતો. આ વચ્ચે આ સમાચાર આગની જેમ ફેલાય ગયા હતા કે, હવે ભારતથી એક મહિલા પાકિસ્તાન પહોંચી ગઈ છે.
આ સમાચાર સામે આવ્યા બાદ અંજુએ કહ્યું હતું કે તે 4-5 દિવસમાં ભારત પરત આવશે. પરંતુ ત્યાં તેણે નસરુલ્લા સાથે નિકાહ કરીને ફાતિમા બની ગઈ હતી.
અંજૂ પહેલાથી પરિણીત હતી અને ભારતમાં અરવિંદ નામના વ્યક્તિ સાથે તેના લગ્ન થયેલા છે. તેમના બે બાળકો પણ છે. પરંતુ તે તેના પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી. અંજૂના ભારત પરત ફરવા પર હવે તેના ભારતીય પતિ સાથે વિવાદ વધી શકે છે.
ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજૂની પૂછપરછ કરી
ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજૂની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવી હતી. ત્યાંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવશે. આ ફ્લાઈટ રાત્રે 10:00 વાગ્યે દિલ્હી પહોંચશે. તે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી આવશે.
હજુ એ સ્પષ્ટ નથી થયું કે અંજૂ કાયમ માટે ભારત પરત ફરી છે કે પાકિસ્તાન પાછી જશે. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યુ હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે. ભારતમાં તે પોતાના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. પરંતુ જો તેઓ ભારતમાં જ રહેવા માંગતા હોય તો તે તેમની મરજી છે.