સાઉથની ફિલ્મોના સુપરસ્ટારને MLA મિત્રના ઘરે જવું ભારે પડ્યું, આચાર સંહિતા ભંગનો કેસ નોંધાયો
Image Source: Instagram
Lok Sabha Elections 2024 Andhra Pradesh: સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને YSR કોંગ્રેસ પાર્ટી(YSRCP)ના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પર આરોપ છે કે, તેમણે ધારાસભ્યના નિવાસસ્થાને મંજૂરી વિના મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધારાસભ્ય રેડ્ડીએ કથિત રીતે સભા માટે કોઈ પણ મંજૂરી વિના અલ્લુ અર્જુનને નંદયાલા મતવિસ્તારમાં બોલાવ્યો હતો. આવી સ્થિતિમાં તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.
કોણે નોંધાવ્યો કેસ?
એક અહેવાલ પ્રમાણે અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આ કેસ આંધ્ર પ્રદેશના નંદયાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદયાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા નોંધાવવામાં આવ્યો છે.
અલ્લુ અર્જુને કહ્યું- મિત્રને મળવા આવ્યો હતો
આ પહેલા શનિવારે ચાહકો વચ્ચે ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કર્યા બાદ અલ્લુ અર્જુને સ્પષ્ટ કર્યું હતું કે, હું મારા મિત્રની મદદ કરવા માટે નંદયાલા આવ્યો હતો. હું કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નથી કરતો. મારી આ યાત્રા એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરતા કહ્યું કે, હું અહીં મારી ઈચ્છાથી આવ્યો છું. મારા કોઈ મિત્રોમાં ભલે પછી તેકોઈપણ ક્ષેત્રમાં હોય તેને મારી મદદની જરૂર પડશે તો હું આગળ આવીને તેની મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું.
આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું શેડ્યૂલ
આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં લોકસભાની 25 બેઠકો છે. આ તમામ 25 બેઠકો પર 13 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત અહીંની 175 વિધાનસભા બેઠકો પર પણ 13 મેના રોજ મતદાન થશે.