BROએ છેક અમરનાથ ગુફા સુધી ગાડી પહોંચે તેવો રસ્તો બનાવતા PDPને પડ્યો વાંધો, કહ્યું ‘આ હિન્દુઓ વિરુદ્ધ મોટો અપરાધ...’

ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબત અંગે PDPએ કહ્યું, ‘રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાનો વિષય’

ભાજપે પણ વળતો જવાબ આપી કહ્યું, ‘લોકો સમજદાર છે, તેઓ છેતરપિંડીના રાજકારણનો શિકાર નહીં બને’

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News

BROએ છેક અમરનાથ ગુફા સુધી ગાડી પહોંચે તેવો રસ્તો બનાવતા PDPને પડ્યો વાંધો, કહ્યું ‘આ હિન્દુઓ વિરુદ્ધ મોટો અપરાધ...’ 1 - image

નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, મંગળવાર

કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા (Amarnath Yatra) જનારા શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે, ઉપરાંત છેક ગુફા સુધી વાહનો જઈ શકે તે રીતે પહાડી માર્ગને પહોળો કરાતા મોટી રાહત થઈ છે. ભારતીય સેના (Indian Army)નું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) છેક અમરનાથ ગુફા સુધી વાહનોનો કાફલો લઈ ગઈ હોવાની તસવીરો પણ સામે આવી છે. અમરનાથ ગુફા સુધી વાહનો પહોંચ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે. મીડિયા અહેવાલો મુજબ પવિત્ર અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

PDPનો ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબતનો વિરોધ

જોકે મહેબુબા મુફ્તીની પાર્ટીના PDP પ્રમુખ અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબતનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બાબતને પ્રકૃતિ વિરુદ્ધની ગણાવી છે. પીડીપી પ્રવક્તાએ કહ્યું કે, ‘આ હિન્દુ ધર્મ અને પ્રકૃતિમાં આસ્થા વિરુદ્ધ સૌથી મોટો અપરાધ છે. હિન્દુ ધર્મ સંપૂર્ણ આધ્યત્મિક અને પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પીડીપીએ તેને વિનાશ અને હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ કહી ટીકા કરી છે.’

‘રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાપાત્ર’

પીડીપી પ્રવક્તા મોહિત ભાને (Mohit Bhan) એક્સ (Twitter) પર લખ્યું કે, ‘હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ થયો છે. આ ધર્મ આપણને પ્રકૃતિમાં લીન કરી દે છે. આ જ કારણે આપણાં પવિત્ર સ્થળો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાનો વિષય છે. આપણે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે, તેમ છતાં આમાંથી કંઈપણ શીખતા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છે.’

ભાજપે પણ PDPને આપ્યો વળતો જવાબ

પીડીપી પ્રવક્તાની ટીકાનો વળતો જવાબ આપી જમ્મુ-કાશ્મીર BJPએ કહ્યું કે, લોકો સમજદાર છે, તેઓ છેતરપિંડીના રાજકારણનો શિકાર નહીં બને. ભાજપે એક્સ પર લખ્યું છે કે, પીડીપી વિરોધ કરી અને રોડ બાંધકામમાં ખામીઓ શોધી 2008ના જમીન વિવાદને ફરી ચગાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે લોકો ઘણા સમજદાર છે અને તેઓ ફરી રાજકીય છેતરપિંડીનો શિકાર નહીં બને.


Google NewsGoogle News