ચૂંટણી પંચે શરદ પવારને આપ્યો ઝટકો, અજિત પવાર જૂથ જ અસલી NCP
NCP Election Symbol: ભારતીય ચૂંટણી પંચ તરફથી શરદ પવારને ઝટકો લાગ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે અજિત જૂથને અસલી એનસીપી જાહેર કરી દીધું છે. ચૂંટણી પંચે કહ્યું કે, 'અજિત પવાર જૂથને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે.તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.' જો કે, પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં આપવાના રહેશે.
છ મહિનાથી વધુ ચાલેલી 10થી વધુ સુનાવણી બાગ ચૂંટણી પંચે એનસીપીમાં ચાલી રહેલા વિવાદનું સમાધાન કર્યું છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 'શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી, જેના કારણે વસ્તુઓ તેમના પક્ષમાં નથી ગઈ. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની છ બેઠકો માટેની ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને, શરદ પવાર જૂથને ચૂંટણી સંચાલન નિયમો 1961ના નિયમ 39AAને અનુસરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે.