ડૉક્ટરોનું અલર્ટ! વાયુ પ્રદૂષણ ગર્ભવતી મહિલાઓ માટે મોટું રિસ્ક, આવી રીતે કરો બચાવ
નવી મુંબઇ,તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર
હવામાનમાં ફેરફાર અને ઠંડીની શરૂઆત સાથે, દિલ્હી અને એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. પ્રદુષણની આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે. જેના કારણે ફેફસામાં ઈન્ફેક્શન, અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી બીમારીઓ થાય છે. આનાથી સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો પર પ્રદૂષણનું સૌથી વધુ જોખમ રહેલુ છે.
ડોક્ટરોનું કહેવું છે કે, હવેથી ગર્ભવતી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર વધશે. જો અત્યારે જ સાવચેતી રાખવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર ખતરો ટાળી શકાય છે.
ડૉક્ટરો આ અંગે કહે છે કે, વાયુ પ્રદૂષણમાં વધારો થવાને કારણે જે લોકોને પહેલાથી જ શ્વસન સંબંધી બીમારીઓ છે તેમને ધ્યાન રાખવાની જરુર છે. હાલની સ્થિતિમાં પ્રદૂષણ એટલુ નથી પરંતુ આગામી દિવસોમાં તે વધશે. જો આપણે આપણી જાતને પ્રદૂષણથી બચાવીશું નહીં, તો ગર્ભવતી સ્ત્રીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જોખમમાં સગર્ભા સ્ત્રીઓ
ડો. રિતુ શેઠી કહે છે કે, વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે સગર્ભા સ્ત્રીઓને શ્વાસની તકલીફ થાય છે. જે મહિલાઓને પહેલેથી જ અસ્થમા છે, તેમની બીમારી અચાનક વધવા લાગે છે. જો અસ્થમાનો હુમલો ન આવે તો પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સાથે ગભરામણ થઇ શકે છે.
વધતા પ્રદૂષણની અસર ગર્ભવતી મહિલાના બાળક પર પણ પડી શકે છે. જન્મ પછી બાળકને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, અકાળ જન્મનું જોખમ પણ છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાને વાયુ પ્રદૂષણથી બચાવવું પડશે.
- તમારી જાતને આ રીતે સુરક્ષિત કરો
- સવારના સમયે ઘરની બહાર ન નીકળો
- બ્રીદિંગ એક્સરસાઇઝ કરો
- જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો ડૉક્ટરની સલાહ લો
- દરરોજ સવારે યોગ કરો
- જો વધુ પ્રદૂષણ હોય તો માસ્ક પહેરીને બહાર નીકળો.