લોકસભા ચૂંટણી માટે AIMIMના ત્રણ ઉમેદવારની જાહેરાત, હૈદરાબાદથી ચૂંટણી લડશે ઓવૈસી
ઔરંગાબાદથી ઈમ્તિયાઝ જલીલ AIMIMના ઉમેદવાર અને કિશનગંજથી અખ્તરુલ ઈમાન ચૂંટણી મેદાનમાં
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024, સોમવાર
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ AIMIM પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે હવે આ વચ્ચે પાર્ટીએ આગામી ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ ઉમેદવારોમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે.
ઉમેદવારોના નામની જાહેરાત કરતા ઓવૈસીએ કહ્યું કે, ઔરંગાબાદથી ઈમ્તિયાઝ જલીલ AIMIMના ઉમેદવાર હશે જ્યારે કિશનગંજથી અખ્તરુલ ઈમાન ચૂંટણી મેદાનમાં ઉતરશે. બાજી તરફ હૈદરાબાદથી પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ખુદ ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેદવારો પર ચર્ચા કરી રહ્યા છે. ત્યાં ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર લડશે AIMIM
હાલમાં ઓવૈસીએ એ નથી જણાવ્યું કે AIMIM બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલી સીટો પર ચૂંટણી લડશે. આ અગાઉ સૈયદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રમાં 6 સીટો પર ચૂંટણી લડશે. પાર્ટી મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, ધુલે ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ ભાગમાં વિદર્ભ મતવિસ્તારમાંથી પોતાનાના ઉમેદવારો ઉતારશે.
AIMIM બિહારમાં 11 સીટો પર લડી શકે છે
AIMIMએ બિહારની 11 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. આ ઉપરાંત પાર્ટી આ વખતે ઉત્તર પ્રદેશમાં પણ હાથ અજમાવશે.
I.N.D.A. ગઠબંધનનું ટેન્શન વધશે
ઓવૈસીની બિહાર અને યુપીમાં ચૂંટણી લડવાની જાહેરાતથી I.N.D.A. ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસીના ઉમેદવારો ચૂંટણી દરમિયાન મુસ્લિમોના વોટ કાપી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં ઈમ્તિયાઝ જલીલ ઔરંગાબાદ બેઠક પરથી જીત્યા હતા જ્યારે ઓવૈસી હૈદરાબાદથી સાંસદ છે. અખ્તારુલ ઈમાન બિહાર વિધાનસભાથી ધારાસભ્ય છે.