સરકારે પણ સ્વીકાર્યું: AI ના કારણે રોજગાર પર સંકટ, આર્થિક સર્વેક્ષણમાં આપી આ સલાહ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
સરકારે પણ સ્વીકાર્યું: AI ના કારણે રોજગાર પર સંકટ, આર્થિક સર્વેક્ષણમાં આપી આ સલાહ 1 - image


Economic Survey 2024: વિશ્વભરમાં હાલમાં AIના આવવાના કારણે મોટાપાયે રોજગારીના પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા એક આર્થિક સર્વેમાં એઆઈને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આર્થિક સર્વે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યો છે. આ સર્વેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ પછી દરેક પ્રકારના કામદારો પર પડનારી અસરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 

સર્વેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવનારા વર્ષો અને દાયકાઓમાં ભારતના ઊંચા વિકાસ દરના માર્ગમાં AI સૌથી મોટો અવરોધ બની શકે છે. સર્વેમાં તેના માટે એવું સૂચન કરવામાં આવ્યું છે કે, તેનો સામનો કરવા માટે ભારત સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રે ભાગીદારીમાં કામ કરવું પડશે.

AI આવ્યા પછી કોર્પોરેટની જવાબદારી વધી

ઈકોનોમિક સર્વેમાં જણાવ્યું હતું કે, આગામી દાયકામાં ભારતની એક્સપોર્ટ્  સેવા ધીમે ધીમે લુપ્ત થવા તરફ આગળ વધી શકે છે. ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ બૂમને કારણે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગને વેગ મળવો જોઈએ, પરંતુ ટેક્નોલોજી લેવલે આવનારા પરિવર્તનનોના કારણે આગામી તબક્કો અટકી શકે છે. આર્થિક સર્વે  પ્રમાણે આ બધામાં કોર્પોરેટ સેક્ટરની સમાજ પ્રત્યે મોટી જવાબદારી છે. તેમણે વિચારવું પડશે કે, કઈ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લેબરને પ્રોત્સાહન આપી શકે છે અને તેને ખત્મ કરી શકતી નથી. સર્વે અનુસાર છેલ્લા બે વર્ષમાં આઈટી સેક્ટરમાં નોકરીમાં ઘટાડો થયો છે.

AI દ્વારા પેદા થશે અસમાનતાનો ખતરો

સર્વે અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોની અર્થવ્યવસ્થાની છેલ્લી જરૂરિયાત ગણાય છે. સર્વેમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની નોંધને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આઈએમએફની નોંધ અનુસાર જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે રોજગારીના સંકટની સાથે સાથે અસમાનતાનો પણ ખતરો વર્તાઈ રહ્યો છે.  

કોર્પોરેટ ક્ષેત્રે નોકરીઓ ઉભી કરવી જોઈએ

સર્વેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, રોજગાર માત્ર આવક પેદા કરવા સાથે સંબંધિત નથી, પરંતુ તે પરિવાર અને સમુદાયમાં પ્રતિષ્ઠા, સ્વમાન, આત્મસન્માન સાથે પણ સંબંધિત ધરાવે છે. એટલે વધુ નફાના લોભમાં તરી રહેલા ભારતીય કોર્પોરેટ ક્ષેત્રોએ નોકરીઓ ઉભી કરવાની પોતાની જવાબદારી ગંભીરતાથી લેવી જરૂરી છે.


Google NewsGoogle News