અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સમાં મળશે 10% અનામત, કેન્દ્ર સરકારની જાહેરાત

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Assam Rifles march past during  Republic Day Parade
Image : IANS (File pic)

Agniveer Reservation in CAPF and Assam Rifles: અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજ્યસભામાં જાણકારી આપી

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai) રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)માં અને આસામ રાઈફલ્સ (Assam Rifles)માં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ના હોદ્દા પર ભરતીમાં અગ્નિવીરો (Agniveer)ને 10 ટકા અનામત (Reservation) આપવામાં આવશે. આ પ્રક્રિયામાં અગ્નિવીરોને વય મર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ અપાશે. 

અગ્નિવીરો ચાર વર્ષની સેવા બાદ નિવૃત થઈ જાય છે

અગ્નિવીર હેઠળ ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની નવી કેટેગરી છે. જે અંતર્ગત 75 ટકા ભરતી થયેલા અગ્નિવીર ચાર વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઈ જાય છે. બાકીના 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સરકારે હવે તેમાંથી 75 ટકા અગ્નિવીરો માટે પણ રોજગારની વ્યવસ્થા કરી છે.

બંનેમાં કુલ 10,45,751 પોસ્ટની સંખ્યા મંજૂર કરાયેલી છે

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે 'CAPF અને આસામ રાઈફલ્સમાં પહેલી જુલાઈ, 2024 સુધી ખાલી જગ્યાઓની સંખ્યા 84,106 છે, બંનેમાં કુલ 10,45,751 પોસ્ટની સંખ્યા મંજૂર કરાયેલી છે. એપ્રિલ, 2023થી ફેબ્રુઆરી, 2024ની વચ્ચે 67,345 અગ્નિવીરોની ભરતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને CRPFની ભરતીઓમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો. 

અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સમાં મળશે 10% અનામત, કેન્દ્ર સરકારની જાહેરાત 2 - image


Google NewsGoogle News