ભારત ભુતાનમાં પ્રથમ રેલવે નેટવર્ક સ્થાપિત કરશે, 3500 કરોડનું રોકાણ કરવાની તૈયારી, ચીનને મોટો ઝટકો
India-Bhutan Railways Network: ભારત અને ભુતાન બંને દેશોને રેલ નેટવર્કથી જોડવાની વાતો 2018થી થઈ રહી છે.તેને હવે સત્તાવાર રીતે મંજૂરી મળી છે. આ માટે બંને દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 6 સ્ટેશન રેલવે નેટવર્કથી જોડવામાં આવશે. આ રેલવે નેટવર્કથી ચીનને ઝટકો વાગશે.
ભારતીય રેલવે અસમના કોકરાઝરથી ભુતાનના ગેલેફૂ સુધી રેલવે લાiન પાથરવા જઈ રહી છે. 69.4 કિમીની પ્રસ્તાવિત રેલ લાiન માટે ભારત રૂ. 3500 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રેલવે લાઇન કોકરાઝાર સ્ટેશનને ભુતાનના ગેલેફૂ સાથે જોડશે.
નોર્થઈસ્ટ ફ્રન્ટિઅર રેલવે હેડક્વાર્ટર્સના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે, 'આ પ્રોજેક્ટમાં ભુતાનના બાલાજન, ગરૂભાસા, રૂનીખાતા, શાંતિપુર, દાદગીરી, અને ગેલેફૂ સહિતના છ સ્ટેશન સમાવિષ્ટ છે. તદુપરાંત 11 મીટર લંબાઈના બે વાયડક્ટ, 39 રોડ અંડર બ્રિજ, એક રોડ ઓવર બ્રિજ, 65 નાના બ્રિજ, 29 મેઇન બ્રિજ, અને બે મહત્ત્વના બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ફાઇનલ લોકેશન સર્વે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.'
પ્રવાસ અને વેપાર વધશે
બંને દેશો વચ્ચે રેલવે નેટવર્ક સ્થાપિત કરાતાં પ્રવાસ અને વેપાર સંબંધો વધુ ગાઢ બનશે. પ્રવાસીઓ સરળતાથી સસ્તા દરે ભુતાનની મુલાકાત લઈ શકશે. રેલવે લિંકનું નિર્માણ ભારત સરકાર તરફથી કરવામાં આવશે. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થતાં આસામનું બોડોલેન્ડ ટ્રાન્સિટ અને ટ્રેડ હબ તરીકે ઉભરી આવશે. નોર્થ-ઈસ્ટના સ્થાનિક બિઝનેસ અને સમુદાયોને ભુતાનમાં વેપાર સંબંધો સ્થાપિત કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે, વર્ષ 2018થી ભારત પોતાના રેલવે નેટવર્કને ભુતાન સાથે જોડવા માગે છે.
રાજકીય ઉથલપાથલના લીધે પાડોશી દેશો સાથેના નેટવર્ક ખોટવાયા
ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલના કારણે કનેક્ટિવિટી નેટવર્ક સંબંધિત સંબંધો અવારનવાર ખોટવાયા છે. નવેમ્બર, 2023માં ભારત-મ્યાનમાર રેલ નેટવર્ક પ્રોજેક્ટ માટે મિઝોરમની રાજધાની એજવાલથી મ્યાનમારની બોર્ડર હિબિછુઆહ સુધી 223 કિમી રેલવે લાઇનનો સર્વે હાથ ધરાયો હતો. પરંતુ મ્યાનમારમાં રાજકીય ઉથલપાથલના કારણે આ પ્રોજેક્ટ અધવચ્ચે જ અટકી પડ્યો હતો.
બાંગ્લાદેશમાં પણ સત્તાપલટો બાદ ત્રિપુરાના અગરતલાથી બાંગ્લાદેશના અખોરા માટે ભારત-બાંગ્લાદેશ રેલવે લિંકનો પ્રોજેક્ટ ખોટવાયો છે. આ નવા રેલવે પ્રોજેક્ટનું બજેટ રૂ. 708.73 કરોડનું હતું. પરંતુ શેખ હસીનાના પલાયન બાદથી જુલાઈ, 2024થી બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેન સર્વિસ બંધ છે.