ચૂંટણી પછી ગુમ થઈ ગયેલા વસુંધરા રાજેના તેવર બદલાયા, રાજસ્થાનના રાજકારણમાં કેમ ગરમાવો છે?

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પછી ગુમ થઈ ગયેલા વસુંધરા રાજેના તેવર બદલાયા, રાજસ્થાનના રાજકારણમાં કેમ ગરમાવો છે? 1 - image
                                                                                                                                                                                                                              Image: IANS

Rajasthan Politics: ચૂંટણી બાદ એકદમ શાંત થઈ ગયેલા વસુંધરા રાજે અચાનક સક્રિય થઈ ગયા છે. વસુંધરા રાજેએ સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુરના અભિનંદન સમારોહમાં કહ્યું કે, લોકોને પિત્તળની લવિંગ મળી જાય, તો પોતાને શાહુકાર સમજવા લાગે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, આટલા સમયથી શાંત વસુંધરા અચાનક સક્રિય કેમ થઈ ગયાં છે? આખરે તેમના આ બદલાયેલા તેવરનું કારણ શું છે? 

રાજસ્થાનમાં વસુંધરા રાજે ભાજપ તરફથી મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર હતા. પાર્ટીએ પહેલાં મુખ્યમંત્રીના ચહેરા વિના જ ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું અને બાદમાં ભજનલાલ શર્માને સરકારની કમાન્ડ સોંપી દેવાઈ. આશરે 10 મહિના પહેલાં ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ વસુંધરા રાજે જ મૂક્યો હતો. ત્યારથી જ વસુંધરાની રાજકીય કારકિર્દીને લઈને અટકળોએ જોર પકડ્યું છે. જો કે, પૂર્વ મુખ્યમંત્રી જે ચૂંટણી બાદથી જ શાંત હતા તે એકદમ જ સક્રિય થઈ ગયા છે.

વસુંધરા રાજે રાજ્યપાલ ઓમ માથુરના સન્માનમાં આયોજિત અભિનંદન સમારોહમાં કહ્યું, 'ઓમ માથુર ભલે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી ગયા હોય, પરંતુ તેમના પગ હંમેશા જમીન પર જ રહે છે. તેથી તેમના ચાહકો પણ અસંખ્ય છે. નહીંતર ઘણાં લોકોને પિત્તળની લવિંગ મળી જાય તો તે પોતાને શાહુકાર સમજવા લાગે છે.' વસુંધરાના આ નિવેદને ઘણી નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. કોઈ આ નિવેદનને મુખ્યમંત્રી ભજનલાલ સાથે જોડીને જુએ છે તો કોઈ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂકેલા મદન રાઠોડ સાથે જોડે છે.

આ પણ વાંચોઃ ‘આમ આદમી પાર્ટીથી દૂર રહેવું સારું, કોંગ્રેસ માટે એ જ યોગ્ય...’ હરિયાણામાં ગઠબંધન નહીં કરવાની દિગ્ગજ નેતાની સલાહ

આ ટિપ્પણી કોના માટે હતી, તે તો વસુંધરા જ જાણે છે. પરંતુ, વાત એ વિષય પર થઈ રહી છે કે, ચૂંટણી બાદ શાંત વસુંધરા એકદમથી તેવર કેમ બતાવે છે? રાજકીય વિશ્લેષકોના મતે, વસુંધરા રાજે રાજસ્થાન ભાજપનું પાવર સેન્ટર હતા, પરંતુ છેલ્લાં એક વર્ષમાં જ પરિસ્થિતિ એવી બદલાઈ કે, તે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. સત્તા પરિવર્તનની અસરના કારણે, જે નેતા અને ધારાસભ્યો પહેલાં વસુંધરાની પરિક્રમા કરતાં જોવા મળતાં, તે હવે તેનાથી દૂરી બનાવી રહ્યા છે. તેમના આ નિવેદનથી નેતાઓના વ્યવહારમાં પોતાના પ્રત્યે થયેલાં બદલાવને લઈને નિરાશા જણાઈ રહી છે. સરકારમાં નહીં તો સંગઠનમાં અથવા કોઈ અન્ય જવાબદારી માટે તે તેવર બતાવે છે અને પોતાનો ગુમ થયેલો રાજકીય વૈભવ પાછો મેળવવાનો પ્રયત્ન કરે છે.

ઉંમરનું ફેક્ટર?

એક પાસું એ પણ છે કે, વસુંધરા રાજે 71 વર્ષના થઈ ચૂક્યા છે. ભાજપની અઘોષિત નીતિ 75 વર્ષથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવાની બદલે માર્ગદર્શક મંડળમાં મૂકવાની રહી છે. રાજસ્થાનની આવનારી ચૂંટણી સુધી વસુંધરા ભાજપની સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની આ ઉંમર સુધી પહોંચી જશે. વસુંધરા રાજેની સામે હવે સક્રિય રાજકારણમાં સુસંગત રહેવાના પડકારો છે.

આ પણ વાંચોઃ ‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો...’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ

દીકરાને સેટ કરવા?

વસુંધરા રાજેનો દીકરો દુષ્યંત પણ રાજનીતિમાં છે. દુષ્યંત ઝાલાવાડ-બારાં સીટ પરથી ચોથી વખત સાંસદ બન્યાં છે. ભાજપે જ્યારે મુખ્યમંત્રી માટે ભજનલાલ શર્માનું નામ આગળ કર્યું અને તેનો પ્રસ્તાવ વસુંધરા પાસેથી જ મૂકાવ્યો, ત્યારે એવી વાતો થવા લાગી કે, પાર્ટીએ દુષ્યંતને લઈને જરૂર કોઈ મોટું આશ્વાસન આપ્યું હશે. વસુંધરાની રાજનીતિનો મિજાજ પણ એવો નથી જેનાથી માની લેવામાં આવે કે, તે સમર્પિત સિપાહીની જેમ હાઇ કમાન્ડનો દરેક નિર્ણય માની લે. લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં સતત ત્રીજીવાર મોદી સરકાર બની, પરંતુ દુષ્યંતને કંઈ મળ્યું નહીં. ચોથીવાર સાંસદ બનવા છતાં દુષ્યંત મોદી મંત્રીમંડળમાં પોતાની જગ્યા બનાવી શક્યાં નથી.

દુષ્યંતની ટિકિટ?

વસુંધરા રાજે સિંધિયાના તેવરની પાછળનું એક ફેક્ટર દુષ્યંતની લોકસભાની ટિકિટ પાક્કી રહે તેવું પણ માનવામાં આવે છે. દુષ્યંત ચાર વખતના સાંસદ છે અને હવે જ્યારે પાર્ટીએ વસુંધરાના પડછાયાથી બહાર નીકળવા માટે મોટા પગલાં લીધા છે, ત્યારે રાજેને ચિંતા થઈ રહી હશે કે, ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીના નામે પાર્ટી દુષ્યંતની ટિકિટ કાપી ન દે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના દીકરા અને યુપીની પીલીભીત બેઠક પરથી સાંસદ રહેલા વરૂણ ગાંધીની ટિકિટ કાપી દીધી હતી.

લોકસભાના પરિણામમાં દેખાઈ આશાની કિરણ?

2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર પૂર્ણ બહુમતીના આંકડાને પાર કરનારી ભાજપ 2024 લોકસભાની ચૂંટણીમાં 240 બેઠક જ જીતી શકી છે. બન્ને ચૂંટણીમાં રાજસ્થાનની તમામ બેઠક જીતીને ક્લિન સ્વીપ કરનારી ભાજપને આ વખતે 11 બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં નબળો દેખાવ પણ વસુંધરા માટે એક સારી તક હોવાનું મનાય છે. 


Google NewsGoogle News