અધીર રંજને CICની નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, કહ્યું મને અંધારામાં રખાયો

નિમણૂક મામલે તમામ લોકતાંત્રિક ધોરણો, નિયમોને બાજુ પર રાખવામાં આવી : અધીર રંજન ચૌધરી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News


અધીર રંજને CICની નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, કહ્યું મને અંધારામાં રખાયો 1 - image

Adhir Ranjan Chaudhary on CIC appointment : દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે હીરાલાલ સામરિયા (heeralal samariya)ને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે ગઈકાલે કેન્દ્રિય માહિતી આયોગ (CIC)ના વડા તરીકે શપથ લીધા હતા. જો કે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ ઉભો થયો છે અને કોંગ્રેસના સાંસદ (Congress MP)એ નારાજગી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ નિમણૂકને લઈને મને અંધારામાં રાખવામાં આવ્યો હતો.

મને અંધારામાં રાખવામાં આવ્યો : અધીર રંજન ચૌધરી

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમિયાન 63 વર્ષીય હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગના વડા તરીકે શપથ લેવડાવ્યા હતા. આ મહત્વપૂર્ણ પદ મેળવનારા હરીલાલ સામરિયા દલિત સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જો કે તેની નિમણૂકને લઈને હવે વિવાદ ઉભો થયો છે. માહિત કમિશનરની નિમણૂક કરનાર સમિતિના સભ્ય અને કોંગ્રેસના સાંસદ અધીર રંજને ચૌધરી (Adhir Ranjan Chaudhary)એ આ નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે કે માહિતી કમિશનરની પંસદગી વિશે ન તો કંઈ કહ્યું કે ન તો મારી સલાહ લેવામાં આવી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે નિમણૂકને લઈને મને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યો હતો. 

આ ખૂબ જ દુઃખની વાત છે : અધીર રંજન ચૌધરી

અધીર રંજન ચૌધરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ ખૂબ જ દુઃખની વાત છે. હું ભારે હ્રદય સાથે લખી રહ્યો છું કે મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક મામલે તમામ લોકતાંત્રિક ધોરણો, નિયમો તેમજ પ્રક્રિયાને બાજુ પર રાખવામાં આવી હતી. આ સિવાય તેમણે કહ્યું કે સરકારે ન તો તેમની સલાહ લીધી અને ન તો પસંદગી અંગેની જાણ કરી. ઉલ્લેખનીય છે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ CIC અને માહિતી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનની અધ્યક્ષતામાં અને લોકસભામાં વિપક્ષના નેતાની બનેલી સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. આ સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે.

અધીર રંજને CICની નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી, રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, કહ્યું મને અંધારામાં રખાયો 2 - image


Google NewsGoogle News