ગોરખનાથ મંદિર પર હુમલાના આરોપીએ હવે પૂછપરછ કરી રહેલા ઈન્સ્પેક્ટર પર હુમલો કર્યો
નવી દિલ્હી,તા.15 એપ્રિલ 2022,શુક્રવાર
યુપીના ગોરખનાથ મંદિર પર હુમલાની તપાસ આગળ વધી રહી છે અને તેમાં નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
ગોરખનાથ મંદિર પર હુમલો કરવાના મામલામાં પોલીસે આરોપી મુર્તઝા અબ્બાસીની પૂછપછ બાદ બીજા પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસે અબ્બાસી પર UAPA લગાવવાની તૈયારી કરી છે.
અબ્બાસી પર હવે તેની સારવાર કરી રહેલા ડોકટર પર અને પૂછપરછ કરનાર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ દ્વારા તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેણે એક ઈન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો. ઈ્નસ્પેક્ટરના ચહેરા પર તેણે નખ માર્યા હતા તથા અન્ય એક પોલીસ કોન્સ્ટેબલને હાથની કોણી મારી હતી.
આઈઆઈટીમાં ભણી ચુકેલા મુર્તઝાને દેશમાં શરિયા કાયદો લાગુ કરવાની ઈચ્છા હતી તેવુ તેણે પોલીસ સમક્ષ કબૂલ્યુ હતુ. બીજી તરફ અબ્બાસીના પરિવારજનો તે માનસિક રીતે અસ્થિર હોવાનુ કહી ચુકયા છે.
મુર્તઝા અબ્બાસી પર પોલીસ UAPA લગાવશે તો તે પછીની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કરશે. અબ્બાસીએ એવુ પણ સ્વીકાર્યુ છે કે, મંદિર પર હુમલો કરતા પહેલા મેં મોબાઈલ અને લેપટોપમાંથી ઘણી જાણકારી ડિલિટ કરી નાંખી હતી.