હિન્દુ લગ્ન કાયદા મુજબ કન્યાદાન નહીં પણ ફેરાની વિધિ ફરજિયાત
- હિન્દુઓના લગ્નોને લઇને ઇલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
- કાયદા મુજબ લગ્ન દરમિયાન કન્યાદાન ના કર્યું હોય તો પણ ચાલે જોકે ફેરાની વિધિ કરવી જરૂરી છે : હાઇકોર્ટ
નવી દિલ્હી : ઇલ્હાબાદ હાઇકોર્ટે હિન્દુ લગ્ન કાયદા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. અને કહ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદા હેઠળ લગ્ન સંપન્ન કરાવવા માટે કન્યાદાન જરૂરી પ્રથા નથી. આ કાયદા મુજબ લગ્ન માટે ફેરાની વિધિ જ પુરતી છે. એક લગ્ન જીવનના વિવાદના કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. અને સ્પષ્ટતા કરી હતી કે કન્યાદાન થયું છે કે નહીં તે હિન્દુ લગ્ન કાયદા મુજબ વિવાદનો મુદ્દો બની જ ના શકે. કેમ કે આ પ્રથા ફરજિયાત નથી.
આશુતોષ યાદવે પોતાની સામેના કેસમાં કરેલી અરજીમાં દલિલ કરી હતી કે મારા લગ્ન હિન્દુ લગ્ન કાયદા હેઠળ થયા હતા અને કન્યાદાનની વિધિ નહોતી કરવામાં આવી. ક્રિમિનલ કેસને લડતી વખતે છ માર્ચના રોજ નીચલી કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ેતેમણે કોર્ટ સમક્ષ બે સાક્ષીઓને ફરી બોલાવવાની માગણી કરી હતી. જોકે કોર્ટે તેની અપીલને ફગાવી દીધી હતી. જે બાદ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે દરમિયાન તેણે એવી દલીલ કરી હતી કે મારી પત્નીનું કન્યાદાન નહોતું થયું. જે સાબિત કરવા માટે હું સાક્ષીઓને ફરી બોલાવવા માગું છું. જે બાદ હાઇકોર્ટે હિન્દુ લગ્ન કાયદાની કલમ છનો ઉલ્લેખ કર્યો હતો. જે મુજબ હિન્દુ લગ્ન કાયદા હેઠળ લગ્નની નોંધણી માટે માત્ર ફેરા વિધિની જ જરૂર પડે છે. કન્યાદાનની વિધિ કરવી ફરજિયાત નથી. તેથી આ મામલામાં કન્યાદાન થયું કે નથી થયું તે મહત્વનું રહેતુ જ નથી. તેથી ફરી સમન્સ જારી કરવાનો સવાલ જ ઉભો નથી થતો. કન્યાદાનની વિધિ કન્યા પક્ષ તરફથી કરવામાં આવતી હોય છે. કન્યાદાનનો અર્થ દાન કરવું એવો નથી થતો પણ આદાન થાય છે, આદાનનો મતલબ થાય છે લેવું કે ગ્રહણ કરવું. કન્યાના પિતાને વર વચન આપે છે કે તે તેમની જવાબદારી ઉઠાવવા તૈયાર છે અને કન્યાની પુરી કાળજી રાખશે.