દિલ્હીમાં પાણીની ભયંકર અછત, કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, જુઓ કઈ-કઈ માગ કરી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં પાણીની ભયંકર અછત, કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, જુઓ કઈ-કઈ માગ કરી 1 - image
Image : IANS

Delhi water crisis: દિલ્હીમાં જળસંકટને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલ સરકારે સુપ્રીમકોર્ટને આ મામલે દખલ કરવાની અપીલ કરતાં કહ્યું કે પાડોશી રાજ્યોને વધુ પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવે. 

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું? 

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત છે અને દિલ્હી સરકારનો આરોપ છે કે યમુનામાં હરિયાણાએ પાણીનો સપ્લાય ઘટાડી દીધો છે જેના કારણે સંકટની સ્થિતિ સર્જાઈ છે. આમ આદમી પાર્ટીની સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે હીટવેવની સ્થિતિને કારણે શહેરમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. 

આમ આદમી પાર્ટીએ સુપ્રીમકોર્ટમાં કરી આ માગ 

પાડોશી રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને એક મહિના માટે યમુનામાં વધારાનું પાણી છોડવાની સૂચના આપવામાં આવે. સરકારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ કરવું એ દરેકની જવાબદારી છે.

હરિયાણા સરકારને કરી હતી અપીલ... 

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હરિયાણાની ભાજપ સરકાર પાસે એક મહિના માટે વધુ પાણી મોકલવાની માંગ કરી હતી. દિલ્હી સરકારના મંત્રીએ આરોપ લગાવ્યો કે હરિયાણા સરકારે જાણી જોઈને દિલ્હી તરફ આવતા પાણીમાં ઘટાડો કર્યો છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ જળ સંકટ માટે કેજરીવાલ સરકારના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યો છે.

દિલ્હીમાં પાણી વેડફવા પર દંડની જોગવાઈ 

રાજધાનીમાં આકરી ગરમી વચ્ચે લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ રહે છે, જેથી લોકોને પીવાના પાણી માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ઘણા વિસ્તારોમાં દિવસમાં માત્ર એક જ વાર અને ઘણા વિસ્તારોમાં 48 કલાકમાં માત્ર એક જ વાર પાણી આપવામાં આવી રહ્યું છે. ઘણા વિસ્તારો માત્ર ટેન્કરો પર નિર્ભર છે. સરકારે પાણીનો બગાડ કરવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જાહેરાત કરી છે.

દિલ્હીમાં પાણીની ભયંકર અછત, કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, જુઓ કઈ-કઈ માગ કરી 2 - image


Google NewsGoogle News