કાશ્મીરીઓનાં માનસમાં આવેલું પરિવર્તન કાશ્મીરીઓ હવે મધ્ય પ્રવાહમાં આવી રહ્યા છે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
કાશ્મીરીઓનાં માનસમાં આવેલું પરિવર્તન કાશ્મીરીઓ હવે મધ્ય પ્રવાહમાં આવી રહ્યા છે 1 - image


- અહીંની સ્થિતિ POKના કાશ્મીરીઓ કરતાં ઘણી સારી છે

- કલમ 370 હટાવ્યા પછી રાજ્યમાં રમખાણો ઘટી ગયાં છે, સ્કુલ કોલેજો ચાલુ રહે : વ્યાપી રહેલા ભય, ઉચાટ દૂર થઇ ગયા છે

શ્રીનગર : એક સમયે આતંકથી અને વિરોધથી ઘેરાયેલું કાશ્મીર હવે 'મધ્ય પ્રવાહ' તરફ વળી રહ્યું છે. આ માહિતી આપતાં તાજેતરમાં જ કાશ્મીરના પ્રવાસેથી પરત આવેલા એક પ્રવાસી પત્રકાર સુતનુગુરૂએ જણાવ્યું હતું કે હું ૩ દિવસ દાલ લેઇક સ્થિત લક્ઝુરિયસ હાઉસબોટમાં રહ્યો હતો. તે દરમિયાન તેના માલિક મુબારક સાથે કેટલીક ખુલ્લાં મનની વાત થઇ હતી. તેણે કહ્યું 'કાશ્મીરના લોકો હવે અંતરથી વિચારતા થયા છે, દુનિયામાં સારી અને ખરાબ તેમ બંને બાબતો રહેલી જ હોય છે. જો તમે સારી વાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે આશાવાદી બની રહેશો. જો ખરાબ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો કટ્ટરતાભર્યા દોષદ્રષ્ટા બની રહેશો. આ પત્રકારે શ્રીનગર ઉપરાંત બતમાલૂ, બિજબેટરા, અનંતનાગ અને પહેલગામના કેટલાયે લોકો સાથે વાતચીત કરી હતી. તેઓ અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયા પછી (૫, ઓગસ્ટ ૨૦૧૯) વધુ સુખી બની રહ્યા છે તેમ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે હવે પથ્થરબાજીમાં અને અર્થહીન તોફાનોમાં ઘણો બધો ઘટાડો થઇ રહ્યો છે. તે લગભગ નહીવત બની રહ્યા છે. શાળાઓ અને કોલેજો બંધ નથી રહેતાં તેમ જ હજી સુધી વ્યાપી રહેલા ભય અને ઉચાટ દૂર થઇ ગયા છે.'

જો કે, શાસન પ્રત્યે તો, તેઓનો અણગમો તો ચાલુ જ રહેલો દેખાય છે. તેઓ ફરિયાદ કરે છે કે અહીં વારંવાર વીજળી ડૂલ થઇ જાય છે. મોંઘવારી વધી રહી છે. બેકારી પણ ઘટી નથી. પરંતુ આવી ફરિયાદો તો રાજસ્થાનથી શરૂ કરી આસામ સુધી અને હિમાચલ પ્રદેશથી શરૂ કરી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કેરલ સુધીના લોકોની છે જ. તેઓ સારી નોકરી કે ધંધા અને સારાં જીવનધોરણના અભાવની ફરિયાદો કરે જ છે તેવી જ ફરિયાદો અહીં કાશ્મીરના લોકો પણ કરે છે. તેમાં કૈં નવું નથી. તેમ છતાં હું ચારેક વર્ષ પહેલાં અહીં આવ્યો હતો. ત્યારે કાશ્મીરના લોકોનાં જે ચઢેલાં મોં અને વિરોધી આંખો દેખાતી હતી તે હવે દેખાતું ન હતું.

આ ઉપરાંત, આ સોશ્યલ મીડીયાના યુગમાં તેઓ પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરના લોકોના સંપર્કમાં પણ રહે છે. તેઓ ત્યાંથી ગંભીર હાલત જાણી શક્યા છે. તે ઉપરથી તેઓ હવે કહે છે કે ભારતમાં તો અમે ઘણી સારી સ્થિતિમાં છીએ.

જો કે સામાન્ય કાશ્મીરીઓની તે ફરિયાદ તો રહી જ છે કે, રાજ્યમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણી ૨૦૧૪માં યોજાઈ હતી. પરંતુ ૨૦૧૮ પછી રાજ્યમાં કોઈ વિધાનસભ્ય જ રહ્યો નથી. કારણ કે વિધાનસભા જ નથી. આથી સામાન્ય કાશ્મીરી પોતાને વંચિત માની રહ્યો છે. માટે રાજ્યને ફરી એકવાર સંપૂર્ણ રાજ્યનો દરજ્જો (કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી) વહેલામાં વહેલી તકે આપવો તે જ તેઓનાં મન અને હૃદયને જીતવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમ પણ આ વિદ્વાન અને પત્રકાર સુતનુ ગુરૂનું કહેવું છે.


Google NewsGoogle News