અયોધ્યાના રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલો ખર્ચ થયો, જાણો ટ્રસ્ટ પાસે કેટલું ફંડ
22 જાન્યુઆરી 2024માં થશે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવ નિમિતે 5 લાખ ગામડાઓમાં થશે અક્ષત દાન
Ayodhya Ram Mandir Construction Cost : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરનું ઉદ્ઘાટન 2024ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહિત દુનિયાભરથી 10 હજાર મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો લાહવો લેવાના છે. રામલલાના આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈકાલે જણાવ્યું કે, 5 ફેબ્રુઆરી 2020 થી 31 માર્ચ 2023 સુધીમાં 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યો છે.
500 વર્ષનો ઈતિહાસ, 50 વર્ષના દસ્તાવેજ
ટ્રસ્ટના મુખ્યા ચંપત રાયેના જણાવ્યા અનુસાર, મંદિરમાં વિદેશી મુદ્રાઓનું દાન લેવાની કાનૂની પ્રક્રિયા સહિત 18 જેટલા મુદ્દાઓ પર ટ્રસ્ટે ચર્ચા કરી છે. જેમાં FCRA( ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) હેઠળ વિદેશી મુદ્રાઓનું દાન સ્વીકારવા માટેની અરજી કરવામાં આવી છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, સરિયું નદીના તટ પર રામ કથા સંગ્રહાલયને ટ્રસ્ટનું રૂપ આપવામાં આવશે જેમાં રામ મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજ રાખવામાં આવશે.
દુનિયાભરના 10 હજાર મહેમાનોના તેડા
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ના જાન્યુઆરી મહિનામાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના 10 હજાર જેટલા મહેમાનો હાજરી આપી શકે છે. આ મુદ્દે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નુપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, આવતા વર્ષની 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેને લઇ હાલ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે,
5 લાખ ગામમાં થશે અક્ષત દાન
આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને પ્રસાદ સાથે ભગવાન રામની એક તસવીર પણ ભેટમાં આપવામાં આવશે. ઉપરાંત 1 થી 15 જાન્યુઆરી 2024 સુધી ભારતના કુલ 5 લાખ ગામડાઓમાં પૂજિત અક્ષત ( પૂજા કરેલા ચોખા)નું વિતરણ કરવામાં આવશે.